એવું તે શું બન્યું કે 8 પહેલાં સગાઈ કરનારે જીવનનો અંત આણ્યો: મોબાઈલમાંથી બહાર આવ્યું સિક્રેટ
અમદાવાદના નરોડા વસ્તારમાં 10 દિવસ પહેલાં એક યુવકે આપઘાત કરી લીધો હતો. જુવાનજોધ દીકરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. યુવકની સગાઈ આ જ તેની જ સોસાયટીમાં રહેતી યુવતી સાથે થઈ હતી. 30 વર્ષીય દીકરાના આપઘાત બાદ પરિવારે તેનો મોબાઈલ ચેક કર્યો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવાર તાત્કાલિક પોલીસમાં જઈને પોલીસને દીકરાની મંગેતરની કરતૂત દેખાડી હતી. પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, પણ 10 દિવસ બાદ પરિવારની રજુઆત અને પુરાવા મેળવીને હવે નરોડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં ચીલોડા સર્કલ પાસે આવેલા કૈલાશ રોયલમાં રહેતા માખીજા પરિવારના 30 વર્ષીય પુત્ર લખન માખીજાએ અંદાજે 10 દિવસ પહેલાં રાત્રે ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક વિગત મુજબ 8 મહિના પહેલા લખન માખીજા અને તેની સોસાયટીમાં સામેના બ્લોકમાં રહેતી વંદના ઉર્ફે વર્ષા જેસવાન વચ્ચે મિત્રતા થઈ હતી અને મિત્રતા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો આ પ્રેમ સંબંધ બાદ બન્નેએ સગાઈ કરી લીધી હતી અને ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા.
લખનના મોત બાદ પરિવારે તેના મોબાઈલની તપાસ કરતા લખન અને તેની મંગેતર વંદના ઉર્ફે વર્ષા જેસવાન વચ્ચે થયેલી ચેટીંગ અને કોલ રેકોર્ડ સામે આવ્યા છે. જે મુજબ પરિવારે જણાવ્યું હતું કે જ્યારથી સગાઇ થઇ ત્યારથી મંગેતરે અલગ અલગ માંગણીઓ શરુ કરી હતી. જેમાં પહેલા આઈફોનની માંગણી કરી હતી. તો મૃતક લખને આઇફોન લઈ આવ્યો હતો ત્યાર બાદ મંગેતરે લેહ-લદાખ ફરવા માટે જવું હતું તો એકે લાખ રોકડની માંગણી કરી હતી. આ માંગ પણ યુવક લખને સંતોષી હતી.
પરિવારે કહ્યું હતું કે દિવસેને દિવસે લખનની મંગેતરની માંગણીઓ વધતી જ જતી હતી. વંદનાએ થોડા સમય બાદ ફરી એકવાર વાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડના સેટની માંગણી કરી હતી. એક સમય એવો આવ્યો માખિજા પરિવાર યુવતીની માંગણીઓ સંતોષવા સમર્થ રહ્યો નહોતો. જેના કારણે બંન્ને વચ્ચે તથા તેમના પરિવારો વચ્ચે પણ અવાર નવાર ઘર્ષણ સર્જાતા હતા. જેના કારણે યુવક હંમેશા ટેન્શનમાં રહેતો હતો.
પરિવારના કહેવા મુજબ એટલું જ નહીં કેનેડા જવા માટે 1 કરોડ રૂપિયાની પણ માંગ કરી હતી. પૈસાની સતત ડિમાન્ડ કરીને માનસિક ત્રાસ આપતી મંગેતર વંદના ઉર્ફે વર્ષાની ઓડીયો કલીપ પણ સામે આવી છે. જેમા તે લખનને પૈસાની માગંણી કરી રહી છે. વર્ષાને જોબ માટે કેનેડા જવુ હતુ, પરંતુ તેની માટે પૈસાની જરૂર હતી. જે પૈસાની માંગણી તે લખન પાસે કરતી હતી. એટલું જ નહીં ફલેટ વેચી દેવા અને માતા-પિતા પાસેથી પૈસાની માગંણી કરે તેવુ દબાણ કરી રહી હતી. રૂપિયા ન આપે તો સગાઈ તોડવાની ધમકી આપી હતી. જેથી યુવકે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ મૃતક લખનના માતા પિતાએ કર્યો છે.
નરોડા પોલીસે પરિવારની રજુઆત અને પરિવારે આપેલા પુરાવાને આધારે યુવતી સામે આત્મહત્યા કરવા દુષપ્રેરીત કરવા બદલ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તમામ પુરાવા FSLમાં મોકલવામાં આવશે. અગાઉ માત્ર આપઘાત જ પોલીસે ચોપડે નોંધ્યો હતો પરંતુ હવે કલમ 306 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.