આકાશ-ઈશા ને અનંત સંપત્તિને લઈ હવે નહીં કરી શકે ઝઘડો, મુકેશ અંબાણીએ કરી આ તૈયારી
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એક ફેમિલી કાઉન્સિલ એટલે કે પારિવારિક પરિષદ બનાવવા જઈ રહ્યા છે, જેથી તેના કારોબારને આગામી પેઢી સુધી સરળતાથી ટ્રાન્સફર કરી શકાય.
કોણ-કોણ હશે આ કાઉન્સિલમાં: બિઝનેસ વેબસાઈટ લાઈવમિન્ટના અનુસાર, આ ફેમિલી કાઉન્સિલમાં અંબાણીના ત્રણેય બાળકો આકાશ, ઈશા અને અનંતની સાથે જ પરિવારનો એક વયસ્ક સભ્ય હશે. જોકે અત્યાર સુધીમાં આ મામલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કોઈ આધિકારીક નિવેદન નથી આપ્યું.
લાઈવમિન્ટને સૂત્રોના હવાલાથી ખબર આપી છે કે ત્રણેય બાળકો સિવાય આ કાઉન્સિલમાં પરિવારનો એક વયસ્ક સભ્ય હશે અને પરિવારની બહારનો સભ્ય પણ હોય શકે છે. પરિવારની બહારનો સભ્ય મેન્ટોર અને સલાહકારનું કામ કરશે.
મહત્વનું છે કે મુકેશ અંબાણી અને તેમના ભાઈ અનિલ અંબાણી વચ્ચે રિલાયન્સને લઈને લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. કદાચ તેને ધ્યાનમાં રાખીને જ મુકેશ અંબાણીએ આ કાઉન્સિલ બનાવવાનો નિર્ણય લીધો છે.
ભવિષ્યનું પ્લાનિંગઃ આવનારા સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કમાન મુકેશ અંબાણીના બાળકોના હાથમાં હશે. જાહેર છે કે આટલી બધી સંપત્તિ બાદ તેમાં ભાગને લઈને વિવાદ પણ થઈ શકે છે. મુકેશ અંબાણીની સંપત્તિ 80 અરબ ડૉલરની આસપાસ છે.
મામલાની જાણકારી રાખતા એક શખ્સે જણાવ્યું કે વર્ષના અંત સુધીમાં મુકેશ અંબાણી પોતાના બિઝનેસના સામ્રાજ્યનો ઉત્તરાધિકારી નક્કી કરી લેશે. જો આગળ ઉત્તરાધિકારીને લઈને કોઈ વિવાદ થાય તો આ કાઉન્સિલના માધ્યમથી રસ્તો નિકાળી શકાશે અને સરળ ટ્રાન્સફરનો પ્રયાસ સફળ થઈ શકે.
મુકેશ અને અનિલ અંબાણીમાં લાંબો ચાલ્યો હતો વિવાદઃ મહત્વનું છે કે વર્ષ 2002માં ધીરૂભાઈ અંબાણીના મોત બાદ રિલાયન્સના વારસાને લઈને મુકેશ અંબાણી અને અનિલ અંબાણીમાં લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. અનેક વર્ષોની મહેનત બાદ અને માતા કોકિલા બેનની દખલ બાદ કંપનીને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. મુકેશ અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મળ્યું હતું, જ્યારે અનિલ અંબાણીના ભાગમાં કમ્યુનિકેશન, પાવર, ફાયનાન્સિયલ બિઝનેસ આવ્યો હતો.