કચ્છના માંડવી તાલુકાના મેરાઉ ગામે અસલ કાગળો સાથેનું પર્સ ખોવાઇ જવાનું મન પર લાગી આવતાં મંગળવારે બપોરે પરણિત યુવકે મતિયા દેવના મંદિરના પ્રાંગણમાં આવેલા ઝાડ પર રસ્સો બાંધી આપઘાત કરી લેતાં પરિવારજનો, મિત્રો અને સગાસંબંધીઓમાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
અસલ દસ્તાવેજ સાથેનું પાકિટ ખોવાયું તો આત્મઘાતી પગલું ભર્યું
મંગળવારના બપોરે બે વાગ્યાના અરસામાં બનેલા આ કમનસીબ બનાવની માંડવી પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મેરાઉ ગામે પીર ફળિયામાં રહેતા મૃતક હેમરાજભાઇ રતનશીભાઇ ખાંભલા (ઉ.વ. 42)નું સોમવારે રાત્રી દરમિયાન જરૂરી કાગળો સાથેનું પાકિટ ઘરની આસપાસ ક્યાંક ખોવાઈ ગયું હતું. તેમાં કોઇ મહત્વના અસલ દસ્તાવેજ હતા, જેના લીધે તે ચિંતિત અને વ્યથિત બન્યો હતો અને તેથી તેણે મંગળવારે બપોરે ગામમાં મતિયા દેવના મંદિરના આંગણામાં આવેલા ઝાડ પર રસ્સો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.
યુ ઓલ ફ્રેન્ડ્સ એન્ડ માય ફેમિલી સોરી લખી ઘરેથી નીકળી ગયો
આ અંગે માંડવી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ પરમારે પ્રાથમિક તપાસની વિગત ટાંકતા જણાવ્યું હતું કે, મૃતક હેમરાજભાઇએ બપોરે દોઢ વાગ્યે પોતાના મોબાઇલમાં વોટ્સએપ સ્ટેટ્સમાં મિસ યુ ઓલ ફ્રેન્ડ્સ એન્ડ માય ફેમિલી સોરી લખી ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર બાદ મૃતકના પત્નીએ તેમના દિયરને તપાસ કરવા કહ્યું હતું. જેથી મૃતકના ભાઇએ આસપાસ તપાસ કરી ત્યારે મતિયા દેવના મંદિરના આંગણામાં આવેલા એક ઝાડ પર ભાઇ હેમરાજભાઇને ફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. આગળની તપાસ પીઆઇ એન.કે.રબારીએ હાથ ધરી છે.
મૃતકે પર્સ ખાવાયા અંગે ગ્રુપમાં મેસેજ કરી તમામને ફોન કર્યા
અસલ કાગળો સાથેનું પર્સ ખોવાઇ ગયા બાદ હતભાગીએ તેમના મિત્ર વર્તુળના ગૃપમાં મેસેજ કર્યો હતો કે, પર્સ ખોવાયું છે. કોઇને પણ પર્સ મળે તો જણાવજો. પણ સવાર સુધી પાકિટ ન મળતાં તમામ મિત્રોને ફોન કરીને પાકિટ મળ્યું તે પુછવા માટે ફોન પણ કર્યા હતા. પરંતુ પાકિટનો કોઇ અતોપતો ન મળતાં આખરે માનસિક તાણમાં આવી આત્મઘાતી પગલું ભરી લીધું હતું.