Only Gujarat

Gujarat

દુલ્હનના જોડામાં ગયેલી દીકરી લગ્નના ત્રણ દિવસ બાદ દુપટ્ટામાં લટકતી જોવા મળી

ગોધરામાં મોરડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફના સંતરોડ ગામના શિવશક્તિ સોસાયટી ખાતે ત્રણ દિવસ પહેલા પરણાવાયેલી યુવતીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવી લીધું છે. પોલીસે મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગોધરાના મોરડુંગરા ખાતે રહેતા અરવિંદ નાનજીભાઈ જાલિયાની દીકરી ઉર્વશીને હમણાં જ 13 તારીખે મોરવા હડફના સંતરોડ સાલિયા ગામના સતિષ લક્ષમણ ભાભોર સાથે પરણાવી હતી. અરવિંદભાઈને ત્રણ દીકરીઓ છે અને એક દિકરો છે જેમાં ઉર્વશી સૌથી મોટી દીકરી હતી.

ઉર્વશીના લગ્નના બીજા જ દિવસે તેનું એમએની પરીક્ષાનું પેપર હતું. હરખના આ પ્રસંગે દીકરીના લગ્નની તૈયારીઓ મહિનાઓથી ચાલી રહી હતી. ખુશીનો પ્રસંગ હતો એટલે વાજતે ગાજતે લગ્ન થયા. જાન આવી, માંડવે લગ્ન થયા અને દીકરી ઉર્વશીને તેમણે સાસરીએ વળાવી હતી. જોકે બીજા દિવસે પેપર હોવાથી જમાઈ અને દીકરી બંને ત્યાં જ રોકાયા હતા.

તે દિવસે રાત્રે ત્યાં જઈ દીકરીએ પરિવાર સાથે વાત પણ કરી હતી. તેણે કહ્યું હતું કે પપ્પા મારે પરીક્ષા છે જે 1.30 વાગ્યે પતી જશે અને પછી સમાજના લોકોને લઈને આણું લેવા આવજો. આ પછી આજે ગુરુવારે 16મી તારીખે ઉર્વશીને પાછું આણું વાળી પાછી પિયર તેડવાની હતી. પણ સાસરીમાંથી સવારે ફોન આવ્યો કે તમારી દીકરીએ ફાંસો ખાઈ લીધો છે. પરિવાર માટે આ ઘડી વજ્રઘાતથી ઓછી ન હતી.

પરિવાર એટલો આઘાતમાં સરી પડ્યો હતો કે તેમની અશ્રુભીની આંખો બધુ જ કહી દેતી હતી. તેમણે હમણાં જ દીકરી સાથે વાત કરી હતી અને તેણે આણું તેડવા આવવાની વાત કરી હતી. પરિવાર પણ દીકરીએ લીધેલા આ પગલાથી ખુબ આશ્ચર્યમાં હતો, કોણ જાણે કેમ તેણે આ પગલું ભર્યું પણ આ સંદર્ભે મોરવા હડફ પોલીસે વિગતો મેળવીને તપાસ શરૂ કરી છે. તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

You cannot copy content of this page