સિરિયલના ટ્રેક્સ અને સ્ટોરીથી નાખુશ છે જેઠાલાલ, સ્વિકાર્યું કે કેટલાંક એપિસોડ સારા નહોતા બન્યા
ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત આવે તો સૌથી પહેલા આપણી સામે દિલીપ જોશીએ ભજવેલું જેઠાલાલનું પાત્ર યાદ આવે છે. પરંતુ તેમને જાણીને નવાઇ લાગશે કે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી સિરિયલથી ખુશ નથી. દિલીપ જોશી એ કહ્યું કે, ‘સિરિયલની ગુણવત્તાને અસર થઈ છે, હવે તે લગભગ ફેક્ટરી જેવી થઈ ગઈ છે. આમ પણ સિરિયલની ટીઆરપી સતત ઘટી રહી છે અને હવે તો ટોપ-5માંથી પણ બહાર થઇ ગઇ છે. દિલીપ જોશીને લાગી રહ્યું છે કે, સમયની સાથે લખાણ એટલે કે સ્ટીરી પર ખરાબ અસર થઇ છે અને વધુ એપિસોડ ટેલિકાસ્ટ કરવાના ચક્કરમાં હવે આ શો ફેક્ટરી બની ગયો છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘરે ઘરે જાણીતી ફેમિલી સિરિયલ છે અને છેલ્લાં 12 વર્ષથી પ્રેક્ષકોના દિલ પર રાજ કરી રહી છે. આ સિરિયલે હાલમાં જ ત્રણ હજાર એપિસોડ પૂરા કર્યા હતા. જોકે, શરૂઆતથી જ આ સિરિયલ સાથે જોડાયેલા તથા જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને લાગે છે કે સમયને કારણે સિરિયલના રાઈટિંગ પર અસર થઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે કેટલાંક એપિસોડ રમૂજની દૃષ્ટિએ એટલા સારા બન્યા નહોતા. એટલે કે તેઓ સિરિયલના ટ્રેક્સ અને સ્ટોરીથી નાખુશ છે. દિલીપ જોશીએ એક ખાનગી કાર્યક્રમમાં કહ્યું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખકો પર દબાણ હોય છે અને તેના કારણે લેખનની ગુણવત્તા પર અસર પડી છે.
દિલીપ જોશીએ જણાવ્યું કે, પહેલા અમે જ્યારે અઠવાડિયામાં એક જ દિવસ શૂટિંગ કરતા હતા ત્યારે લેખકો પાસે ઘણો સમય રહેતો હતો. મહિનામાં ચાર એપિસોડ લખાતા હતા અને બીજા મહિને ફરી ચાર એપિસોડનું શૂટિંગ થતું હતું. પણ હવે લેખકોને રોજ નવો વિષય શોધવો પડે છે. અંતે તેઓ પણ માણસ છે.
હું એ વાત સાથે સમંત છું કે જ્યારે તમે આટલા લાંબા સમયથી ડેઈલી શો કરતા હો ત્યારે બધા એપિસોડ્સ તે સ્તરના ના બની શકે. મને પણ લાગે છે કે કેટલાંક એપિસોડ રમૂજના દૃષ્ટિકોણથી તે સ્તરના બન્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી શો છેલ્લા 12 વર્ષોથી લોકોને હસાવી રહ્યો છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષોથી આ શોનું મહત્વપૂર્ણ પાત્ર અને જેઠાલાલની પત્ની ‘દયા બેન’ને આ શોમાં દર્શકો ખૂબ જ મિસ કરી રહ્યા છે. દયા બેનનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દિશા વાકાણી માતા બન્યા બાદથી જ શોમાં પરત નથી ફરી. પણ હવે એવું લાગે છે કે જેઠાલાલને તેમની ‘નવી દયા’ મળી ગઈ છે. એટલું જ નહીં શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ પણ આ નવી દયા બેનને શોમાં લાવવાની વાત કરી દીધી છે.