દાહોદના પીપલોદ તિરુપતીનગરમાં રહેતા રાજીવ રજનીકાંત પાજીયાવાલાની દીકરી નિધી કેનેડા અભ્યાસ કરી હતી. તેને લેવા માટે રાજીવભાઈ તેમના દીકરા હર્ષલ સાથે રવિવારે રાત્રે મુંબઈ જવા નીકળ્યા હતા. દીકરીને લઇ મુંબઇથી પરત ફરી રહેલ આ બિલ્ડર અને તેમના પુત્રનું પાંચેક વાગે ગુજરાત-મહારાષ્ટ્ર સીમા નજીક ચારોટી પાસે અકસ્માતમાં મૃત્યું થયું, જ્યારે દીકરી અને ડ્રાયવરનો આબાદ બચાવ થયો. બિલ્ડરની દીકરી કેનેડામાં સ્થાયી થઇ હતી, જોકે ત્યાં શિળાયો શરૂ થવાનો હોવાથી કંપનીએ ત્રણ મહિના માટે ભારત આવવાની છૂટ આપી હતી. પરંતુ ભારત આવતા જ ગણતરીની કલાકો જ પિતા અને ભાઇને ગુમાવી દીધા.
આ અંગેની વિગત એવી છે કે, પીપલોદ તિરુપતીનગરમાં રહેતા રાજીવ રજનીકાંત પાજીયાવાલા( 52 વર્ષ) સિવિલ ઇજનેરની સાથે પોતે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની દીકરી નીધી કેનેડા અભ્યાસ કરતી હતી. તેને રજા હોવાથી તે ભારત પરત આવી હતી. પોતાની દીકરી નિધીને લેવા રાજીવ પાજીયાવાલા તેમના દીકરા હર્ષલ( 20 વર્ષ) સાથે રવિવારે રાત્રે મુંબઈ જવા માટે નિકળ્યા હતા. રાત્રે અઢી વાગ્યે તેઓ દીકરીને લઈને સુરત તરફ આવી રહ્યા હતા. ચારોટી પાસે સવારે આશરે પાંચેક વાગે કેબના ડ્રાયવરે આગળ ચાલતા ટેન્કર સાથે કાર ઠોકી દીધી હતી. તેના કારણે હર્ષલ અને રાજીવ પાજીયાવાલાનું મોત નિપજ્યું હતું.
નિધી અને ડ્રાયવરને સામાન્ય ઇજા થઈ હતી. બનાવ બન્યો ત્યારે નિધી, હર્ષલ અને રાજીવ પાજીયાવાલા સુતેલા હતા. ડ્રાઇવરે સ્થાનિક પોલીસને જણાવ્યું હતું કે, આગળના ટેન્કરનું ટાયર ફાટતા ટેન્કર અચાનક થોભી ગયું હતું જેના કારણે કાર કંટ્રોલમાં ન રહી અને પાછળથી કાર ઠોકાઇ ગઇ હતી. નિધિ છેલ્લા ચાર વર્ષથી કેનેડામાં સ્થાયી થઈ હતી અને તેની પીઆરની ફાઈલ ચાલી રહી હતી.
લોકડાઉનને કારણે તે વર્કફ્રોમ હોમ કામ કરી રહી હતી અને શિયાળો શરૂ થવાનો હોય કંપનીએ તેને ત્રણ મહિના માટે ભારત જવાની છૂટ આપી હતી. આ ત્રણ મહિના પરિવાર સાથે રહેવા માટે નિધિ ભારત તો આવી પણ ગણતરીના કલાકો પિતા અને ભાઈ સાથે સમય વીતાવી શકી હતી. ગંભીર અકસ્માતમાં પિતા અને ભાઇને કાયમ માટે ગુમાવી દેતા તેના પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે.