સુરત: હાલ ગુજરાતમાં વરસાદી મોસમ ખીલી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ઘમરોળ્યું છે. ધોધમાર વરસાદને કારણે સુરતના કેટલાય વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ છે. સુરતના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ હોવાથી રેસ્ક્યૂ ટીમ પણ કામે લાગી ગઈ હતી આ ઉપરાંત સ્થાનિક લોકો પણ મદદે આવ્યા છે. નોંધનીય છે કે, સુરતમાં ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જોકે ગુજરાત સરકારે અગાઉથી જ તમામ તૈયારીઓ કરી દીધી છે.
દક્ષિણ ગુજરાતના સુરતમાં મેઘરાજાને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરતમાં ખાડીપુરના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સુરતના લિંબાયત અને પર્વત પાટિયા વિસ્તારોમાં પાણી ઘૂસતાં જ દુકાનો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. લિંબાયત વિસ્તારની સોસાયટીનાં ઘરોમાં પાણી ઘુસતાં 200 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. માધવબાગ સોસાયટીઓના લોકોના રેસ્ક્યુમાં ફાયર વિભાગની સાથે સાથે આરએસએસ પણ લોકોની મદદે આવ્યું છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યાં હતાં. સ્તાઓ, દુકાનો, મકાનોમાં ખાડીપુરના પાણીનો પ્રકોપ જોવા મળ્યો હતો. અનેક લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ખાડીના આસપાસના વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થયા હતાં.
ભારે વરસાદને કારણે સુરતમાં સ્થિતિ બહુ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. જ્યારે ડુભલ સર્કલ પાસે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં મુશ્કેલી પડી રહી છે.
સુરતમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે જેને લઈને NDRFની ટીમ રેસ્ક્યૂ માટે કામે લાગી ગઈ છે. NDRFની ટીમ અસરતગ્રસ્ત ઓલપાડના કાઠોદરા ગામે પહોંચી છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે.
ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા વરસાદી પાણીને કારણે કિમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીનું પાણી કઠોદરા ગામ વિસ્તારમાં સોસાયટીઓમાં ઘૂસી ગયા છે. કોસંબાની ત્રણ જેટલી સોસાયટીમાં પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
દક્ષિણ ગુજરાતના સુરતમાં સારા વરસાદને કારણે નદી અને ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળ સપાટીમાં વધારો થતાં ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમમાં હાલ 85042 ક્યુસેક પાણીની આવક થઈ છે તો ડેમમાંથી હાલ 70,524 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈની હાલની જળ સપાટી 332.61 ફૂટ સુધી પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી નદીનું સ્તર વધી ગયું છે. તાપી નદી ઉપર આવેલો કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વરસાદી આફતને લઈને ટેલિફોનિક વાત કરી હતી.
ત્યાર બાદ વિજય રૂપાણીએ સુરત કલેક્ટર સાથે વાત કરીને પ્રશાસનને એલર્ટની સૂચના આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને જરૂર પડ્યે તો સલામત સ્થળે ખસેડવાની પણ સૂચના છે.