અરુણાચલ પ્રદેશથી ત્રણ ભારતીય છોકરાઓનું અપહરણ કરાયું હોવાના અહેવાલો વચ્ચે, ભારતીય સેનાએ રસ્તો ભટકેલાં 3 ચીની નાગરિકોની મદદ કરી. સિક્કિમના ઉત્તરીય ક્ષેત્રમાં, લગભગ 17 હજાર 500 ફૂટની ઉંચાઇએ, ચીની નાગરિકો તેમનો રસ્તો ભટક્યા હતા.
ભારતીય સેનાએ તેમને ખોરાક, ગરમ કપડાં અને દવાઓ આપી હતી. સૈન્યએ આ ભાવના એવા સમયે દર્શાવી હતી જ્યારે બંને દેશો વચ્ચે સરહદ વિવાદને કારણે તણાવ ઉભો થયો છે. પૂર્વી લદ્દાખમાં એલએસી પર બંને દેશોની સેના સામ-સામે છે.
સેનાના અધિકારીઓએ કહ્યું કે આ મામલો 3 સપ્ટેમ્બરનો છે. ચીની નાગરિકોના જીવને જોખમ છે તે જોતાં ભારતીય સૈન્ય તુરંત જ ત્યાં પહોંચ્યું હતું અને તેને ઓક્સિજન અને અન્ય તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.
ઉંચાઈએ મુશ્કેલ પરિસ્થિતિઓ માટે તેમને ખોરાક અને ગરમ કપડાં પણ આપવામાં આવ્યાં હતાં. સેનાએ અહેવાલ આપ્યો છે કે ભારતીય જવાનોએ તેમને પાછા ફરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. ચીનના નાગરિકોએ આ વર્તન બદલ ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચીને કહ્યું – ભારતે તિબેટ કાર્ડ રમ્યુ
બીજી તરફ, ચીની મીડિયા આઉટલેટ ગ્લોબલ ટાઇમ્સે ન્યૂઝ એજન્સીના હવાલાથી કહ્યું છે કે સરહદ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીને ભારત પર તિબેટ કાર્ડ રમવાનો આરોપ લગાવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશનિકાલ તિબેટિયનો સાથે ભારતનું તિબેટ કાર્ડ રમવું તેના પગ પર કુહાડી મારવા જેવું છે, કારણ કે ચીનની આર્થિક અને લશ્કરી શક્તિ ભારત કરતા ઘણી વધારે છે.