બાળકની ઈચ્છામાં એક મહિલાનો જીવ જતો રહ્યો હતો. મહિલાને ઘણાં વર્ષથી બાળક થતું નહોતું. દંપતીએ આઇવીએફની મદદથી બાળકની ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું હતું. ઈન્જેક્શન આપતા જ મહિલા કોમામાં જતી રહી હતી. સાત દિવસ બાદ મહિલાનું મોત થઈ ગયું હતું.
મહિલાના પતિએ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને પોલીસે હોસ્પિટલના એમડીની ધરપકડ કરી હતી. નવાઈની વાત એ હતી ડૉક્ટરની એમબીબીએસની ડિગ્રી નકલી નીકળી હતી. બની શકે કે આ પહેલાં ઘણાં પેરેન્ટ્સની ઈચ્છા પૂરી થવાને બદલે મોત મળ્યું હોય. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
જાન્યુઆરીમાં આઇવીએફ સેન્ટરની મુલાકાત લીધી હતીઃ મૃતક લલિતા ગાઝિયાબાદમાં રહેતી હતી. તેના લગ્ન ચંદ્રભાન સાથે થયા હતા. લગ્નના ઘણાં વર્ષો સુધી બંને પેરેન્ટ્સ બની સક્યા નહીં. તેમણે ઘણી જગ્યાએ સારવાર કરાવી હતી, પરંતુ ફાયદો થયો નહીં. અંતે તેમણે આઇવીએફ કરાવવાનું નક્કી કર્યં હતું.
પતિ ચંદ્રભાને કહ્યું હતું કે જાન્યુઆરીમાં તે પત્ની લલિતાને લઈને ઇફો વિલેજ 2ના ક્રિએશન વર્લ્ડ આઇવીએફ સેન્ટર આવ્યો હતો. લલિતાને ઘણો જ ડર લાગતો હતો. જોકે, સેન્ટરના એમડી પ્રિયરંજન ઠાકુર સાથે વાત કર્યા બાદ પત્નીનો ડર ઓછો થયો હતો. તેમણે સલામત રીતે આઇવીએફ થશે તેવી હૈયાધારણા આપી હતી. તેમણે પ્રિયરંજન ઠાકુરની દેખરેખમાં ડૉ. સુશીલ લખનપાલની સારવાર શરૂ કરી હતી. લલિતા ડૉક્ટર્સના કહ્યા પ્રમાણેની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. બધુ જ સરખું ચાલતું હતું.
ઇન્જેક્શન લગાવ્યા બાદ કોમમાં જતી રહીઃ વધુમાં ચંદ્રભાને કહ્યું હતું કે ડૉક્ટર્સે 19 ઓગસ્ટના રોજ લલિતાને સેન્ટર પર બોલાવી હતી. બેહોશ કરનારી દવાનો ઓવરડોઝ આપી દીધો હતો અને પછી તબિયત લથડી હતી. સેન્ટર પર ઇમરજન્સી સારવારની કોઈ વ્યવસ્થા નહોતી. એમ્બ્યુલન્સ પણ ના મળી. યોગ્ય સમયે સારવાર ના મળતા લલિતા કોમામાં જતી રહી હતી. લલિતાની તબિયત ગંભીર થતાં તે બીજી હોસ્પિટલ યથાર્થ લઈ ગયો હતો. ડૉક્ટર્સે લલિતાને એડમિટ કરીને સારવાર શરૂ કરી હતી. પોલીસ સ્ટેશનમાં એમડી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ દરમિયાન 26 ઓગસ્ટે મહિલાનું મોત નીપજ્યું હતું.
પોલીસે ફરિયાદ બાદ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે આઈવીએફ સેન્ટરના એમડી પ્રિયરંજનની પાસે બિહારની ભૂપેન્દ્ર નારાયણ વિશ્વવિદ્યાલયની એમબીબીએસની ડિગ્રી છે. આ ડિગ્રી 2005માં મળી હતી. યુનિવર્સિટી જઈને તપાસ કરવામાં આવી તો ડિગ્રી નકલી હતી.
આ યુનિવર્સિટીમાં પ્રિયરંજને ક્યારેય અભ્યાસ કર્યો જ નહોતો. તપાસ હજી ચાલુ છે. કોઈ પણ દોષિત દેખાશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે કહ્યું હતું.