અમદાવાદઃ આધુનિક જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો પોતાના વધેલા વજનથી મુશ્કેલીમાં હોય છે. લોકો સવાર સાંજ એમ જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે પરંતુ વજન ઘટવાનું નામ લેતુ નથી. વજન સતત વધવું અને ના ઘટવાનું કારણ આપણા ભોજનની ટેવ છે. આપણે એવો ખોરાક ખાતા હોઈએ છીએ, જેમાં હાઈ કેલરી હોય છે.
ફાસ્ટફૂડ, ઓઈલી ફૂડ આપણી વજન વધવાની સમસ્યા વધારી દે છે. આજે અમે કેટલાંક એવા શાકભાજી અંગે વાત કરીશું, જે તમને સ્વસ્થ તો રાખશે જ અને વજન પણ વધવા દેશે નહીં. આ શાકભાજીના ઉપયોગથી તમારું વજન ઘટશે.
ખરી રીતે, લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઘણાં જ ફાયદાકારક હોય છે. લીલા શાકભાજીમાં પોષક તત્વો હોવાથી, આપણા શરીરને અનેક બીમારીથી બચાવે છે. લીલા શાકભાજીમાં ફાઈબર, એન્ટી ઓક્સીડેન્ટ વગેરે હોય છે, જે વધેલા વજનને કંટ્રોલ કરવામાં આપણી મદદ કરે છે.
જો તમે વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન તૈયાર કરી રહ્યા હોવ તો તમારે લીલા શાકભાજી અચૂક સામેલ કરવા. લીલા શાકભાજી રોજ ખાવાથી શરીર શૅપમાં રહે છે, જેમાં વિટામિન, મિનરલ્સ, આયરન, કેલ્શિયમ, ફાઈબર વગેરે હોય છે. આ બધા તત્વોને કારણે એકસ્ટ્રા ચરબી ઝડપથી ઘટે છે.
કોબીજઃ જો તમે ભોજનમાં કોબીજને સામેલ કરો તો તમે ફાયદામાં રહેશો. કોબીજમાં વિટામિન એ, સી, મેગ્નિશિયમ, આયરન, સલ્ફર, કેલ્શિયમ હોય છે, જે વજન ઓછું કરવાની સાથે સાથે સ્કિનને પણ સારી રાખે છે. કોબીજને તમે સલાડ કે સેન્ડવિચ તરીકે પણ ખાઈ શકો છો.
શિમલા મિર્ચઃ તમારે શિમલ મિર્ચનો નિયમિત રીતે ઉપયોગ કરવો. શિમલા મિર્ચમાં કેલરીની માત્રા ઓછી હોય છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. શિમલા મિર્ચમાં એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન્સ, મિનરલ્સ વગેરે હોય છે. આ તત્વો શરીરના ફેને બર્ન કરવામાં મદદ કરે છે.
પાલકઃ પાલકનું સેવન પણ શરીરમાં રહેલી ચરબીને ઓછી કરે છે. વિટામિન, મેગનીઝ, કેરોટીન, આયરન, કેલ્શિયમ, મેગ્નિશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફોરસ હોય છે. આ સાથે તેમાં કેલરી અને ફેટ હોતા નથી, જેથી શરીરને બીમારીઓથી દૂર રાખે છે.
બ્રોકોલીઃ બ્રોકલી, ફ્લાવર જેવી દેખાય છે. બ્રોકોલીમાં પ્રોટિન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, આયરન, વિટામિન એ, સી અને અનેક પોષક તત્વો હોય છે. 100 ગ્રામ બ્રોકોલીમાં માત્ર 34 ટકા કેલરી અને 90 ટકા પાણી છે. સલાડ, સૂપ અથવા શાક બનાવીને ખાઈ શકાય છે.
નોંધઃ આ આર્ટિકલ સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિને આ શાકભાજી અનુકૂળ આવે તેમ ના પણ બને. વજન ઉતારવા માટે ડાયટ તથા વર્કઆઉટ જરૂરી છે. જો આમાંથી એક પણ શાકભાજી અનુકૂળ ના આવે તો તેનો ઉપયોગ ના કરવો અથવા તો ફેમિલી ડોક્ટરનો સંપર્ક કર્યા બાદ જ ઉપયોગ કરવો.