કહેવાય છેને કે સપના જોવાની કોઇ ઉંમર કે સમય નથી હોતો. જિંદગીને ક્યારેય પણ નવેસરથી કંઇક નવું કરીને અલગ અંદાજમાં જીવી શકાય છે. ક્યારેક ઉંમરના ચોક્કસ મુકામે પુરા થઇ જવા જોઇતા સપના પુરા નથી થતાં હોતા. જરૂરી નથી કે જિંદગી આપના ઇશારે અને આપણા ટાઇમ ટેબલ મુજબ જ ચાલે. આવા સમયે કેટલીક અણધારી પરિસ્થિતિના કારણે આપણા આયોજન, સપના બધું જ ધર્યું રહી જાય છે. જો કે આ સ્થિતિમાં પણ સપનાને જીવતા રાખવામાં આવે તો જિંદગી તેને પુરા કરવાનો એક અવસર તો ચોક્કસ આપે છે. ચંદીગઢની હરમીત કૌર આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. જેમણે 90 વર્ષની ઉંમરે પોતાના સપનાને સાકાર સ્વરૂપ આપ્યું.
સપના જોવાનો કોઇ ચોક્કસ સમય નથી હોતો તેવી જ રીતે તેને પુરા કરવાનો પણ કોઇ ચોક્કસ સમય નિશ્ચિત નથી હોતો. બસ સપના પુરા કરવા માટે થોડી હિંમત અને સકારાત્મક વિચાસરણીનું હોવું જરૂરી છે. દુનિયામાં એવા અનેક ઉદાહરણ છે. જેમણે હાર માન્યા વિના તેમની ઇચ્છાશક્તિ અને આકાંક્ષાઓથી સફળતાના શિખર સર કર્યો હોય.
આવી જ એક મિસાલ છે ચંદીગઢની 94 વર્ષની દાદી, જેમણે ઉંમરના નવમાં દશકમાં સફળતાની એવી કહાણી લખી કે, લોકો તેના કાયલ થઇ ગયા છે. તેમણે 4 વર્ષ પહેલા પોતાનુ્ં ખુદનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેમણે પોતાના નામથી સ્ટાર્ટઅપ બ્રાન્ડ ‘હરભજન લોન્ચ કર્યું. જેમાં તે ઘરની બનેલી બરફી અને અથાણું વેચે છે.
તેની આ યાત્રા અને કહાણી એટલી પ્રેરણાદાયક છે કે ફેમસ બિઝનેસ મેન આનંદ મહિન્દ્રા તેમને વ્યવસાયી એન્ટરપ્રેન્યોર ઓફ યર(Entrepreneur of the year’) માને છે. આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર 94 વર્ષની દાદીની પ્રશંસા કરી છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા હરભજનની પુત્રી રવીન સૂરીએ જણાવ્યું કે, તેમણે એક વાતનો હંમેશા રંજ હતો કે, તે પોતાની મહેનતથી એક પણ રૂપિયો કમાઇ નથી. આ કારણે રવીને તેમની માના આ રંજને દૂર કરવાનો નિર્ણય કર્યો અને તેમની મદદ કરી. જેથી તેમની દીલ તમન્ના એક પ્રેરક કહાણીમાં બદલી શકે.
રવીને જણાવ્યું કે, ‘તે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ રસોઇ બનાવતી રહી છે. જો કે તેમની પ્રતિભા પડદા પાછળ છુપાયેલી હતી” રવીને જણાવ્યું કે, “તેમની માતાએ પહેલા તો સ્થાનિક જૈવિક બજારમાંથી ઓર્ગેનિક માર્કેટમાં બરફી વેચી અને 2,000 રૂપિયાની કમાણી કરી. જે તેમની પહેલી કમાણી હતી. તેમણે જણાવ્ચું કે, આ પહેલી કમાણીથી વધુ આગળ વધવાની હિંમત આવી અને આત્મવિશ્વાસમાં પણ વધારો થયો”.
ત્યારબાદ હરભજને સ્થાનિક બજારમાં વેચવા માટે બરફી, ચાટ અને અથાણુ બનાવવાનું શરૂ કર્યું. આ કામમાં તેમની પૌત્રીએ પણ તેની મદદ કરી, હરભજનના આ કામને પ્રોફેશનલ સ્તર પર લઇ જવા માટે ‘હરભજન’ કંપનીની સ્થાપના કરી. જેના હેઠળ ઉત્પાદનનું બ્રાન્ડિંગ, પેકેજિંગ અને ટેગલાઇન બનાવીને બજારમાં ઉતારવામાં આવ્યું. જેની ટેગલાઇન ‘બાળપણ યાદ આવી ગયું’ રખાઇ છે.
રવીને એ પણ જણાવ્યું કે, “કમાણી કરતા પણ અહીં વધુ મહત્વપૂર્ણ એ છે કે, “આ બિઝનેસ શરૂ કર્યા બાદ મારી મામાં આત્મવિશ્વાસ આવી ગયો છે. આ ઉંમરે તેમણે 4 વર્ષની અંદર 500 કિલોગ્રામ જેટલી બરફી બનાવી છે. રોજ અમને પાંચથી દસ કિલો મીઠાઇ તૈયાર કરીએ છીએ” રવીનેએ પણ જણાવ્યું કે, “અમે હજુ અન્ય લોકોને કામ પર રાખવાનું વિચારી રહ્યાં છીએ. જેથી વધુ ઓર્ડર લઇ શકીએ. કારણ કે હવે રોજ ઓર્ડર વધી રહ્યાં છે”
તેમણે ઉલ્લેખ કર્યો કે, “હરભજને તેમના પૌત્રીના લગ્ન માટે 200 કિલોગ્રામ બરફી બનાવી હતી.રવીને જણાવ્યું કે, બે મહિના પહેલા જ મારી દીકરીના લગ્ન થયા. તે ઇચ્છતી હતી કે, નાનીની બનાવેલી મીઠાઇ જ નિમંત્રણ સાથે મોકલવામાં આવે. ત્યારબાદ નાની મીઠાઇ બધાને આપવામાં આવી. તે બધા માટે ખૂબ જ સારો અહેસાસ રહ્યો.