અમદાવાદઃ ઘરમાં બનાવેલા પૂજા સ્થળ એટલે કે મંદિરનું ખાસ મહત્વ છે. આ એક એવો હિસ્સો છે, જ્યાં સૌથી શાંતિ તથા સકારાત્મક એનર્જી મળે છે. શાસ્ત્રોમાં ઘરમાં બનાવેલા મંદિરને લઈ કેટલાંક નિયમો આપવામાં આવ્યા છે, જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઘરના મંદિરના એક જ ભગવાનની બે તસવીરો અથવા મૂર્તિઓ હોવી જોઈએ નહીં. શાસ્ત્રો પ્રમાણે, એક જ મંદિરમાં એક જ ભગવાનની બે મૂર્તિ કે તસવીર હોય તો શુભ કાર્યમાં અડચણો આવે છે. આથી જ હંમેશાં ભગવાનની એક જ મૂર્તિ રાખવી.
ઘરમાં મંદિર કે પૂજાની જગ્યાએ શૌચાલય હોવું જોઈએ નહીં અને રસોડાની અંદર મંદિર બનાવવું નહીં. આ ઉપરાંત ઘરની સીડીઓની નીચે ક્યારેય મંદિર બનાવવું નહીં.
ઘરના મંદિરમાં શિવલિંગ રાખવાની મનાઈ છે પરંતુ શિવલિંગ રાખવું જ હોય તો તેનો આકાર અંગૂઠાના આકારથી મોટો હોવો જોઈએ નહીં.
હિંદુ ધર્મમાં ખંડિત મૂર્તિઓની પૂજા કરવામાં આવતી નથી. આથી મંદિરમાં ક્યારેય આવી મૂર્તિઓ રાખવી નહીં. ખંડિત મૂર્તિઓની પૂજા કરવી તેને અશુભ માનવામાં આવે છે.