અંદાજે બે વર્ષ પહેલાનો આ બનાવ છે. ભાવનગરના વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં પત્નીની નજર સામે જ પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મહત્વનું છે આ દંપતીના લગ્ન પાંચ દિવસ પહેલા જ થયાં હતાં. યુવાન પત્નીને પિયર મૂકવા જતો હતો ત્યારે આ કમનસીબ ઘટના બની હતી.
આ દુઃખદ બનાવની વિગત એવી છે કે, ભાવનગરના સિહોરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા આશિષભાઈ બહાદુરભાઈ માવડીયા (ઉં.વ.29) અને તેમના પત્ની જયશ્રીબેન આશિષભાઈ માવડીયા એક્ટિવા પર સિહોરથી ભાવનગર તરફ આવી રહ્યાં હતાં. તે સમયે વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળથી પુર ઝડપે આવી રહેલ ડમ્પર વાહન નં.GJ-13-W-0569ના ચાલકે આશિષભાઈના સ્કુટરને પાછળથી અડફેટે લેતા આશીષભાઇનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે તેમની પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પરિવારનું માનીએ તો બન્ને પતિ-પત્નીના બીજા લગ્ન થયા હતા. અગાઉ આશીષભાઇએ લગ્ન કર્યા ત્યારે છોકરીવાળાએ ઘર જમાઇ થવાનું કહેતા આશીષભાઇએ ના પાડી હતી અને ત્યારબાદ તેમના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ તેમણે જયશ્રીબેન સાથે લગ્ન કર્યા હતા.
ઘટનાની કરુણતા એ છે કે આશિષભાઈ અને જયશ્રીબેનના લગ્ન પાંચ દિવસ પહેલા જ થયા હતા. આશિષભાઈ તેમના પત્ની જયશ્રીબેનને તેમના પિયર ભાવનગરના હાદાનગર મૂકવા આવી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત થતાં આશિષભાઈનું મૃત્યું નીપજ્યું હતું. જેને લઈને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકના મામા રાજુભાઈ ડાભીએ જણાવ્યું કે, નાનપણથી બન્ને ભાઇ આશિષ તથા ભાવિનને તેમણે જ મોટા કર્યા છે. તેમના માતા-પિતા ચિત્રામાં રહે છે અને તેમની આર્થિક પરિસ્થિતી સારી નહીં હોવાથી બન્ને દિકરાઓ નાનપણથી મામાની સાથે જ છે.
મામાએ જણાવ્યું કે તેઓ તેમના દીકરાની જેમ જ બન્નેને સાચવતા હતા. મામાનું સ્કૂટર લઇને જ આશિષ તેમની પત્નીને પિયર મુકવા માટે નીકળ્યો હતો. પરંતુ જીવલેણ અકસ્માતમાં દંપતી ખંડિત થઇ ગયું.