બરડા ડુંગર ત્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, સગર્ભા બીટ ગાર્ડના પ્રેમીએ જ ત્રણેય હત્યાને અંજામ આપ્યો
પ્રશાંત દયાળ, અ્મદાવાદ: ઘટના એવી છે કે, તા. 15મી ઓગસ્ટે પોરબંદરના બરડા ડુંગર ખાતે પેટ્રોલિંગમાં નિકળેલા વનવિભાગના સગર્ભા મહિલા બીટ ગાર્ડ હેતલ સોલંકીનો શિક્ષક પતિ કિર્તી સોલંકી અને જંગલ ખાતાના રોજમદાર નાગાભાઈ આગઠ ગુમ થઈ ગયા હતા. બે દિવસ બાદ આ ત્રણેયના મૃતદેહો બરડા ડુંગર પાસેથી મળી આવ્યા હતા. આ મામલે તપાસ કરી રહેલી પોરબંદર પોલીસે ત્રણેય હત્યાને અંજામ આપનાર બીટ ગાર્ડ એલ ડી ઓડેદરાની ધરપકડ કરી છે. હત્યા પાછળનું કારણ ઓડેદરા અને હેતલ વચ્ચે લાંબા સમયથી સંબંધ હતા પણ તેમાં તંગદીલી થતાં તેણે આ પગલું ભર્યું હોવાનું કબૂલ્યું છે.
પોરબંદર રેન્જમાં ફરજ બજાવતા મહિતા બીટગાર્ડ હેતલ સોલંકી સગર્ભા હતા અને છેલ્લા મહિનાઓ પસાર થઈ રહ્યા હોવાને કારણે તેમનો શિક્ષક પતિ કિર્તી સોલંકી મોટાભાગે તેમની સાથે રહેતો હતો. 15મી ઓગસ્ટના રોજ હેતલને તેના સાથી બીટ ગાર્ડ એલ ડી ઓડેદરાએ જાણકારી આપી કે, હેતલના કાર્યક્ષેત્ર બરડા ડુંગરમાં દારુની ભઠ્ઠીઓ ચાલે છે. આ જાણકારીને કારણે હેતલ પોતાના પતિ કિર્તી સાથે તેમજ રોજમદાર નાગાભાઈને લઈને બરડા ડુંગર જવા રવાના થઈ.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, 2017થી સાથે કામ કરતાં બીડ ગાર્ડ ઓડેદરા અને હેતલ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. મિત્રતા ઘનિષ્ઠ બનતા ઓડેદરાની પત્ની મંજુને આ બાબતની જાણ થઈ હતી. આથી મંજુ અને હેતલ વચ્ચે પણ ઝઘડા શરૂ થયા હતા. સમગ્ર મામલે તંગદીલી ઊભી થતાં. ઓડેદરાએ હેતલનું કામ તમામ કરવાનો નિર્ણય કર્યો હતો અને જેના માટે બરડા ડુંગરની તેણે પસંદગી કરી હતી. આથી ઓડેદરાએ દારુની ભઠ્ઠીઓનું બહાનું ઊભું કરી હેતલને બરડા ડુંગર બોલાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે હેતલ સાથે તેનો પતિ અને રોજમદાર નાગાભાઈ પણ આવ્યા હતા.
બંને ડુંગર પહોંચ્યા પછી દારુની ભઠ્ઠીઓ ડુંગરની ઉપર ચાલી રહી છે તેમ જણાવી તે કિર્તી અને નાગાભાઈને ડુંગર ઊપર લઈ ગયો હતો જ્યાં તેણે પોતાની પાસે રાખેલા ગેડિયાથી માથામાં ફટકા મારી બંનેની ડુંગર ઊપર જ હત્યા કરી નાખી હતી. હેતલ સગર્ભા હોવાને કારણે પહાડની ઉપર આવી ન્હોતી. તે નીચે તેમની રાહ જોતી હતી. બેની હત્યા કરી નીચે આવેલા ઓડેદરાએ હેતલના માથામાં પણ ગેડિયું ફટકારી તેની પણ હત્યા કરી નાખી હતી. બનાવ બાદ ઓડેદરા ત્યાંથી નિકળી ગયો હતો અને બીજા દિવસે પોલીસ સાથે મળીને ગુમ થયેલા લોકોની શોધમાં પોતે પણ જોડાઈ ગયો હતો.
જોકે પોલીસને શંકા ત્યારે ગઈ કે જ્યારે ખુદ ઓડેદરાએ જ આ ત્રણેયની લાશો પોલીસને બતાડી હતી. આ ઉપરાંત હેતલની માતાને ખબર હતી કે ઓડેદરા જ આ ત્રણેયને બરડા ડુંગર લઈ ગયો હતો. પોલીસે આ મામલે ત્રણ હત્યાના આરોપ સર એલ ડી ઓડેદરાની ધરપકડ કરી છે. હેતલ સોલંકી સગર્ભા હતી અને તેના ગર્ભમાં જોડીયા બાળકો હતા તેમના પણ મૃત્યુ થયા હતા.
મૃતક યુવાન કિર્તી રાઠોડના પિતા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે તે તેમના પત્ની સાથે સડલા ગામે રહે છે. તેમનો નાનો દીકરો કિર્તી વર્ષ 2009માં સોંઢાણાની શાળામાં શિક્ષક તરીકે જોડાયો હતો. જ્યારે વહુ હેતલ 3 વર્ષ અગાઉ પોરબંદર વનવિભાગમાં ફીક્સ પગારદાર તરીકે નોકરીએ જોડાઈ હતી.
વર્ષ 2013માં બંનેના લગ્ન થયા હતા અને સાત વર્ષ બાદ ઘરમાં સીમંતનો પ્રસંગ આવ્યો હતો. જેનું મુહુર્ત પણ કાઢવી રાખ્યું હતું. છેલ્લે 15મી ઓગસ્ટે દીકરા સાથે વાત થઈ હતી, જેમાં દીકરાએ 20 દિવસ પછી વહુ હેતલને લઈને સીમંત માટે સડલા આવવાની વાત કરી હતી. બંનેની આજે લાશ મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.