મોદી-અમિત શાહને પછાડ્યા બાદ કેજરીવાલ માટે આગામી પાંચ વર્ષ કેવા હશે? શું કહે છે ગ્રહોની ચાલ ?
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. કેજરીવાલનો શપથ સમારોહ 16 ફેબ્રુઆરીએ યોજાશે. દેશની મોટી પાર્ટીને પછાડી દિલ્હીના સિંહાસન પર બીરાજમાન થયેલા અરવિંદ કેજરીવાલ માટે આગામી પાંચ વર્ષ ખૂબ જ મહત્વના છે. દિલ્હીની જનતાએ ફરી આપ પર વિશ્વાસ દાખવ્યો છે, શું તેઓ તેમાં ખરા ઉતરશે કે કેમ એ તો આવનારા પાંચ વર્ષ જ કહેશે, પરંતુ આ પહેલા જ્યોતિષીઓએ કેજરીવાલને લઇને કેટલીક ભવિષ્યવાણી કરી છે.
જ્યોતિષાચાર્યનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલના લગ્નમાં ગુરુની મહાદશા ચાલી રહી છે. ઓગસ્ટ 2020માં ગુરુ બાદ શનિની મહાદશા શરૂ થશે.
અરવિંદ કેજરીવાલની કુંડળી મેશ લગ્નની છે અને શનિ મકર રાશિમાં બેઠા છે. આ હિસાબથી શનિ એકદમ કેન્દ્રમાં છે. કેન્દ્રમાં શનિ હોવાને કારણે જનતાનો ભરોસો જીતવો સરળ બની જાય છે. આ વાત કેજરીવાલ માટે સાચી પડી છે.
મોટા સંયોગની વાત એ છે કે દેશમાં અત્યારસુધી જેટલા પણ વડાપ્રધાન બને છે, તેમની કુંડળીના કેન્દ્રમાં શનિ હતો. આવામાં રાજનીતિમાં કેજરીવાલનો ઉદય થવો એ લગભગ નક્કી જ છે.
કેજરીવાલના મેષ લગ્નમાં શનિ છે પરંતુ તેના કેન્દ્રમાં સૂર્ય અને બુધના આદિત્ય યોગથી રાજયોગ બને છે. મંગળ અને ગુરુ નવવા ભાવમાં ધન રાશિમાં છે. મંગળ તેમની રાશિમાં કરિયરને ચાર ચાંદ લગાવવાનું કામ કરી રહ્યો છે.
ગ્રહોની સ્થિતિ જોયા બાદ એવું કહેવું સહેજ પણ ખોટું નથી કે આગામી પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ માટે ખૂબ સારા રહેશે. આ દરમિયાન કેજરીવાલ પ્રાદેશિકથી રાષ્ટ્રીય રાજકારણમાં પણ જઈ શકે છે.
ગુરુની દશા પૂરી થતા જ ઓગસ્ટમાં શનિની મહાદશા શરૂ થશે. આ દરમિયાન દેશ સિવાય વિદેશોમાં પણ તેમની લોકપ્રિયતા વધવાનો યોગ છે. પાર્ટીનું નેતૃત્વ પણ તેઓ વધુ સારી રીતે કરી શકશે.
દસમા ભાવમાં બેઠેલા શનિ કેજરીવાલને રાષ્ટ્રીય રાજનીતિમાં સફળતા અપાવવા માટે મદદ કરશે. આ ઉપરાંત કેજરીવાલને પોતાના ચૂંટણી વાયદા પૂરા કરવામાં પણ ગ્રહોની ખૂબ જ મદદ મળશે.
કેજરીવાલ સારી રીતે જાણે છે કે તેમની કુંડળીમાં નીચનો મંગળ એટલે કે રોજગારનો સ્વામી બેઠેલો છે. આથી તેઓ પોતાની જીત પર પણ હનુમાનજીને યાદ કરવાનું ના ભૂલ્યા. આગામી પાંચ વર્ષ પણ તેમને મંગળ દરેક કાર્યમાં સફળતા અપાવશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળી વૃશ્ચિક લગ્નની છે. મોદીની રાશિમાંથી પણ શનિની સાડા સાતી પૂર્ણ થવા જઇ રહી છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની કુંડળીમાં ફરી એકવાર જનતાની સાથે મેળ-મિલાપ થવાના યોગ બની રહ્યાં છે.
મોદી-કેજરીવાલની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ એવું કહી રહી છે કે બંને મળીને એકબીજાની આલોચના કર્યા વગર દિલ્હીને આગળ લઇ જવાનું કામ કરશે. આમ જોવામાં આવે તો બંને માટે રાજનીતિમાં આગળ વધુ કોઇ મુશ્કેલીઓ આવે તેમ હાલ પૂરતું લાગતું નથી.
વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી જ્યોતિષિઓએ કરેલી અત્યાર સુધીની ભવિષ્યવાણી એકદમ સાચી ઠરી છે. જ્યોતિષોએ કેજરીવાલની કુંડળી જોઇને પહેલા જ તેમની જીતના સંકેત આપી દીધા હતા.
જ્યોતિષિઓએ મનોજ તિવારીની કુંડળીમાં શનિ ચંદ્રમાના વિષયોગ હોવાની વાત પણ કરી હતી. તેનું પરિણામ આપણે ચૂંટણીના રિઝલ્ટમાં પણ જોયું છે.
જ્યોતિષિઓએ દાવો કર્યો હતો કે જો ભારતીય જનતા પાર્ટી ડોક્ટર હર્ષવર્ધનના નેતૃત્વમાં ચૂંટણી લડી હોત તો પરિણામ સારું હોઇ શકે તેમ હતું. જ્યોતિષિઓએ દાવો કર્યો હતો કે કોંગ્રેસે જો અજય માકનને કમાન સોંપી હોત તો પાર્ટીના ખાતામાં આજે શૂન્ય સીટ ના હોત.