ગુરુપૂર્ણિમાએ મળ્યું દીકરાનું દાન, ઘનશ્યામભાઈ પટેલે પોતાના પુત્રને સમર્પિત કર્યો
બે દિવસે પહેલાં જ ગુરુ પૂર્ણિમાની ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સૌરાષ્ટ્રના એક મંદિરમાં દીકરાનું દાન કરવામાં આવ્યું હોય તેવો પ્રથમ દાખલો જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશના હરદા સીટીમાં રહેતા અને ટીમ્બર માર્ટના વ્યવસાય સાથે જોડાયેલા ઘનશ્યામભાઈ પટેલના બે પુત્રોમાંથી 7 વર્ષના સોહમ નામના પુત્રને ગુરુદક્ષિણામાં દીકરાનું દાન આપી પોતાની એક સામાજિક અને અદભુત ફરજ પૂરી કરી હતી.
ગુરુપૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ હરદા સીટીથી ઘનશ્યામભાઈ પટેલ અને તેમના પરિવાર સાવરકુંડલા માનવ મંદિર આવી પહોંચ્યો હતો અને આ 7 વર્ષના પુત્રને ગુરુ શ્રી પૂ.ભક્તિ બાપુના ચરણોમાં સમર્પિત કર્યો હતો. આ જોઈ હાજર દરેક લોકો ચોંકી ગયા હતાં.
બાપુએ પણ રાજીપો વ્યક્ત કરી સોહમને સપ્રેમ સ્વીકારી તેમના અભ્યાસનો ઉછેર તેમજ સંસ્કારની જવાબદારી પૂર્વક ફરજ અદા કરવાનું પણ આ પરિવારનો વચન આપ્યું હતું. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દીકરાના દાન દુધરેજની જગ્યામાં આપવામાં આવે છે અને સ્વીકારવામાં પણ આવે છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં માનવ મંદિરમાં આ પ્રથમ દાખલો એવો છે કે જ્યાં દીકરાનું દાન મળ્યું છે.
માનવમંદિર એટલે આજથી સાત વર્ષ પહેલા રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર ભક્તિ બાપુએ નિસ્વાર્થ ભાવે અને સેવાની ભાવનાથી સ્થપાયેલ આશ્રમ. આશ્રમમાં નિરાધાર રખડતા ભટકતા મનોરોગી મહિલાઓને વિનામૂલ્યે દાખલ કરી સમાજમાં પુન સ્થાપિત કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.
અત્યાર સુધીમાં 92 જેટલી બહેનો સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે. હાલમાં 54 જેટલી મહિલાઓ પુનર્જીવન પ્રાપ્ત કરવાનું ભક્તિ બાપુની નિશ્રામાં પ્રયાસ કરી રહી છે. માનવ મંદિરમાં ક્યારેય કોઈ પાસે ફાળો નહીં કરવાના કોઈ પાસે માગવું નહીં એવા અઘરા નિર્ણય સાથે આશ્રમ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રભુકૃપાથી સતત જરૂરિયાત મુજબનું દાન મળી રહે છે અને માનવ મંદિરના અનેક સેવકો ભક્તો યથાશક્તિ દાનની સરવાણી વહાવી રહ્યાં છે.