ચંદીગઢ: સામાન્ય રીતે સમાજમાં એવો રીવાજ છે કે પતિનું મોત થાય તો પરિણીતાએ સાસરિયામાં આજીવન વિધવા બનીને રહેવું પડે છે. અમુક જગ્યાએ પતિના મોત બાદ પત્નીને પાછી પિયર મોકલી દેવામાં આવે છે, જ્યાં તેના માતા-પિતા તેના ફરી લગ્ન કરાવે છે.
જોકે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે રૂઢિચુસ્ત પરંપરાઓને તોડીને સમાજને નવો રાહ ચીંધે છે. હિચાચલ પ્રદેશમાં મંડી જિલ્લામાં પુત્રનું અકસ્માતમાં મોત થતાં વિધવા બનેલી 31 વર્ષની પુત્રવધૂને દીકરી ગણી સાસુ-સસરાએ ફરી ધામધુમથી લગ્ન કરાવ્યા હતા. એટલું જ નહીં પુત્રવધુનું કન્યાદાન કરી મોટો કરિયાવર પણ આપ્યો હતો.
મંડી જિલ્લાના સરકાઘાટ ખાતે રહેતા બ્રહ્મદાસ અને સંતોષી દેવીના પુત્ર નું દોઢ વર્ષ પહેલાં રોડ અકસ્માતમાં મોત થયું હતું. પુત્રના મોત બાદ પુત્રવધુ ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. વૃદ્ધ સાસુ-સસરાથી પુત્રવધૂનું આ દુ:ખ જોયું નહોતું ગયું.
વૃદ્ધ સાસુ-સસરાએ ચબુતરા ગામના ફિતૂરીરામ સાથે પુત્રવધૂનો સંબંધ નક્કી કરી તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. વૃદ્ધ દંપતીએ વાજતે-ગાજતે પુત્રવધૂને દીકરી ગણી વળાવી હતી. એટલું જ નથી કન્યાદાન કર્યું હતું તેમજ કરિયાવર પણ આપ્યો હતો. વૃદ્ધ દંપતીના આ પગલાંની આખા વિસ્તારમાં જોરદાર પ્રશંસા થઈ રહી છે.