સોનાના ઘરેણા ગીરવે મુકીને ગરીબોને ભોજન કરાવી રહ્યાં છે ગુજરાતના આ શહેરનો કિન્નર સમુદાય
વડોદરા: એક દિવસ કિન્નર નૂરી કંવરને એક ઘરમાંથી બાળકના રોવાનો અવાજ સંભળાયો. જ્યારે તેઓએ અંદર જઇને પુછ્યું તો જાણવા મળ્યું તે એક માતા પોતાના 5-6 વર્ષના પુત્રને એટલા માટે માર મારી રહી હતી કારણ કે તે ખાવાનો માંગી રહ્યો હતો પરંતુ ઘરમાં કંઇ હતું નહીં. આ દ્રશ્ય જોઇને નૂરીએ નક્કી કર્યું કે તે પોતાની ક્ષમતા અનુસાર લોકોની મદદ કરશે.
ગુજરાતના વડોદરા શહેરમાં રહેતી નૂરીએ લોકડાઉનના પ્રથમ ચરણ દરમિયાન પોતાના ઘરની આસપાસ રહેતા કિન્નર સભ્યોના ઘરમાં દાળ, લોટ, ચોખા, ખાંડ, તેલ અને મસાલા પહોંચાડ્યા હતા. આ સિવાય નૂરીના શિષ્યોએ 700 ગરીબ પરિવારના ઘરમાં પકવેલું ભોજન પણ પહોંચાડ્યું.
એટલું જ નહીં નૂરીએ સ્થાનિક ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પોતાના અને પોતાની બહેનોના ફોન નંબર આપી કહ્યું કે જ્યારે પણ ઘરમાં ખાવાનું ખતમ થઇ જાય ત્યારે તેની જાણકારી આપે.
તમામ માંગલિક કાર્ય અને ટ્રેન વગેરે બંધ હોવાને કારણે કિન્નર સમાજની કોઇપણ પ્રકારની આવક થઇ રહી નથી. પરંતુ તેમ છતા પણ વડોદરાનો આ સમુદાય જરૂરિયાતમંદની મદદ માટે બની શકે એટલા પ્રયાસ કરી રહ્યાં છે. નૂરીનું કહેવું છે કે તેઓએ લોકોના ઘર સુધી ખાવાનું પહોંચાડવા માટે પોતાના ઘરેણા ગીરવે મૂકી દીધા છે. નૂરીએ વર્ષોથી પૈસા બચાવી પોતાના માટે હાર બનાવડાવ્યો હતો જેને તેણીએ ગીરવે મૂક્યો છે.
પોતાનો હાર ગીરવે મૂક્યા બાદ પણ નૂરીનું કહેવું છે કે હાર ઘણી મહેનત અને દિલથી બનાવ્યો હતો પરંતુ હજુ તો આખું જીવન પડ્યું છે. ફરી કમાણી કરી હાર છોડાવી લઇશ. આ સમયે લોકોને ભૂખ્યા મરતા બચાવવાનું સૌથી વધુ જરૂરી છે.
પાસ અને પરમિશન સાથે રિક્ષા મદદથી કિન્નર સમુદાયે જરૂરિયાતમંદ લોકોની ઓળખ શરૂ કરી બાદમાં થોડા દિવસ તૈયાર ભોજન ખવડાવ્યું. ત્યારબાદ રાશનના પેકેટ અંદાજે 1000 લોકોના ઘર સુધી પહોંચાડ્યા. રાશન વેંચતી વખતે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખી આ કિન્નર શેરીઓમાં પહોંચી જોર જોરથી અપીલ પણ કરે છે કે બધાએ પોતાના ઘરમાં જ રહેવું જેથી કોરોના સંક્રમણનો ખતરો ન રહે.