મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર પક્ષીને બચાવવા કારમાંથી બહાર નીકળેલા બે વ્યક્તિને અન્ય એક કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટી હતી. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ ઘટના 30મી મેના રોજ બની હતી. 43 વર્ષીય અમર મનીષ જરીવાલા પોતાની કારમાં સી લિંક પરથી પસાર થઈ રહ્યા હતા. કાર તેમનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. અચાનક એક બાજ પક્ષી તેમની કાર સાથે અથડાયું અને નીચે પડી ગયું. મનીષે તરત જ કાર ઊભી રખાવી હતી અને નીચે ઊતરીને બાજને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પાછળ તેમનો ડ્રાઈવર પણ કારમાંથી નીચે ઊતર્યો હતો.
આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બંનેને જોરદાર ટક્કર મારી હતી. કારે ટક્કર મારતાં મનીષ અને તેનો ડ્રાઈવર હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. આ ઘટનામાં મનીષ જરીવાલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવર શ્યામ સુંદર કામતને પણ ઈજા થઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પરિવાર કારના ડ્રાઈવર સામે કેસ કરવા માગતો નથી
મૃતકનો પરિવાર ટેક્સીડ્રાઈવર સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માગતો નથી. આમ છતાં કારચાલક સામે વર્લી પોલીસે ગુનો નોંધ્યો છે.
પરિવારે જણાવ્યું હતું કે મનીષ જરીવાલા પશુ-પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હતા. તેમની સંવેદનશીલતા જ તેમના મૃત્યુનું કારણ બની. જરીવાલા એનપીએનસી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા હતા. તે કોઈ કામના સંદર્ભે મલાડ જઈ રહ્યા હતા, ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો.