મુંબઈઃ જ્યારથી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી ઘણાં ટીવી સેલેબ્સ અને બોલિવૂડ સેલેબ્સે અંગત અથવા આર્થિક કારણોસર આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. છ ઓગસ્ટના રોજ ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી હોય તેવા ન્યૂઝ આવ્યા હતા. હજી આ આઘાતમાંથી બહાર આવીએ તે પહેલાં જ અન્ય એક એક્ટ્રેસે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે.
ટીવી સીરિયલ તથા ભોજપુરી ફિલ્મમાં કામ કરી ચૂકેલી અનુપમા પાઠકે અંગત કારણોસર આત્મહત્યા કરી હતી. અનુપમાએ રવિવાર (બીજી ઓગસ્ટ)ની રાત્રે ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલાં અનુપમા ફેસબુકમાં પર લાઈવ પણ થઈ હતી. તેણે ફેસબુકમા અંતિમ પોસ્ટમાં બાય, બાય, ગુડનાઈટ એવું લખ્યું હતું. અનુપમાએ સુસાઈડ નોટ પણ લખી હતી.
અનુપમા મુંબઈમાં દહીંસર ચેક નાકા સ્થિત ઠાકુર મૉલની પાસે એમએમઆરડીએ બિલ્ડિંગમાં ભાડેથી રહેતી હતી. તેણે આત્મહત્યા કરતા પહેલાં સુસાઈડ નોટમાં બે કારણો લખ્યાં હતાં. પહેલાં કારણમાં કહ્યું હતું કે મનિષ ઝા નામની વ્યક્તિએ લૉકડાઉન દરમિયાન મે મહિનામાં તેની પાસેથી ટૂ વ્હીલર લીધું હતું. આ સમયે તે પોતાના ગામડે જતી રહતી. જ્યારે તે પરત ફરી ત્યારે મનિષે તેને ટૂ વ્હીલર આપવાની ના પાડી દીધી હતી.
સુસાઈડ નોટમાં બીજું કારણ એ કહેવામાં આવ્યું છે કે તેણે પોતાના એક મિત્રના કહેવાથી એક વિઝ્ડમ પ્રોડક્શન કંપનીમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપની તેને ગયા વર્ષે ડિસેમ્બરમાં વ્યાજ સહિતની રકમ પાછી આપવાની હતી. જોકે, કંપનીએ હજી સુધી પૈસા પરત કર્યાં નથી. અનુપમાએ ફેસબુક લાઈવમાં પોતાની તમામ મુશ્કેલીઓ અંગે વાત કરી હતી.
પોલીસે સુસાઈડ નોટને આધારે કેસ દાખલ કર્યો છે. કાશીમીરા પોલીસ સ્ટેશનના સીનિયર પીઆઈ સંજય હઝારેએ કહ્યું હતું કે તે આ કેસની તપાસ કરી રહ્યા છે. જોકે, દોષીતો પર ત્યારે જ કાર્યવાહી કરવામાં આવશે જ્યારે તમામ તપાસ પૂરી થઈ જાય. અનુપમા પાઠકે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો અને ન્યાયની માગણી કરી હતી.
આ પહેલાં કુશલ પંજાબી, સેજલ શર્મા, મનમીત ગ્રેવાલ, પ્રેક્ષા મહેતા, દિશા સલિયન સહિતના સ્ટાર્સે આત્મહત્યા કરી હતી. પોલીસ રેકોર્ડ પ્રમાણે, આ તમામ સ્ટાર્સ ડિપ્રેશનથી પીડાતા હતાં.