પલામૂ: ઝારખંડથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્ન બાદ કારથી પરત ફરી રહેલા દુલ્હા-દુલ્હન સહિત 5 લોકો નદીમાં આવેલા પૂરના કારણે વહી ગયા. સારી વાત એ રહી કે ગામવાસીઓએ એક કલાકના રેસ્ક્યૂ ઓપરેશન થકી કારમાં સવાર તમામ લોકોને બચાવી લીધા.
વાસ્તવમાં આ ઘટના શનિવારે પલામૂ જિલ્લાના સતબરવા વિસ્તારની મલય નદીમાં ઘટી હતી. દુલ્હો દિગ્વિજય સિંહ લગ્ન કર્યા બાદ દુલ્હન ખુશ્બુને લઈ પોતાના પરિવારજનો સાથે પરત ફરી રહ્યો હતો. તે સમયે જ આ દુર્ઘટના ઘટી હતી.
ડ્રાઈવર નાનકડો રસ્તો સમજી કાર આગળ વધારી રહ્યો હતો. એવામાં અચાનક પાણીના ઝડપી વહેલના કારણે કારનું બેલેન્સ બગડતા તે નદીમાં પડી ગઈ અને 300 મીટર ઊંડા પાણીમાં ગરકાવ થઈ, તે ધીમે-ધીમે વધુ અંદર જતી રહી.
ગામવાસીઓએ આ દુર્ઘટના જોઈ તો અમુક લોકો ફટાફટ નદીમાં કુદી ગયા અને વહેતી કારને અટકાવી. તેમણે દોરડાના સહારે તમામને સુરક્ષિત બહાર કાઢ્યા.
આ દુર્ઘટનાને નજરે જોનારે જણાવ્યું કે, કારમાં પાણી ભરાઈ ગયું હતું અને અંદર રહેલા લોકો બુમો પણ પાડી શકે તેમ નહોતા. ગામવાસીઓએ લોકોને બહાર કાઢ્યા બાદ કાર ફરી નદીમાં વહેવા લાગી, એવામાં ગામવાસીઓએ દોરડાની મદદે કાર પણ બહાર કાઢી હતી.