પોતાની આંખ સામે ફરાર વિકાસ દુબેને મરતો જોવા માગે છે શહીદ પોલીસકર્મીની પત્ની, પરિવાર પર તૂટ્યું આભ
ઝાંસી, ઉત્તર પ્રદેશઃ 2 જુલાઈની રાતે કાનપુરના વિકરુ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યા કર્યા બાદ ફરાર અને 5 લાખનું ઈનામ ધરાવતા વિકાસ દુબેને શોધવા પોલીસ ટીમો લાગેલી છે. પોલીસે વિકાસ દુબેને શોધવા માટે 100 ટીમોને તૈયાર કરી છે. પરંતુ અત્યાર સુધી આરોપી હત્યારો હજુસુધી પોલીસની પકડમાં આવ્યો નથી. પોલીસ અને આરોપીઓ વચ્ચેની અથડામણમાં ભોજલા ગામના પોલીસકર્મી સુલ્તાન સિંહ વર્મા પણ શહીદ થયા હતા. સુલ્તાનની શહીદી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ ઉપરાંત તેમની અંદર આરોપી હત્યારા વિકાસ દુબે અંગે ગુસ્સો પણ છે. શહીદ પોલીસકર્મી સુલ્તાનની પત્નીએ કહ્યું કે, તે પોતાના હાથે વિકાસ દુબેનું એનકાઉન્ટર કરવા માગે છે.
કાનપુર એનકાઉન્ટરમાં શહીદ થયેલા સુલ્તાન સિંહ વર્માની શહાદત બાદ પત્ની અને પરિવારજનો સતત ગુસ્સામાં છે. શહીદની પત્ની ઉર્મિલાએ કહ્યું કે,‘વિકાસ દુબેનું એનકાઉન્ટર મારી સામે થવું જોઈએ. કારણ કે હું પોતાના હાથે તેનો અંત કરવા માગુ છું. પોલીસ ડિપાર્ટમેન્ટના લોકોની મિલીભગતના કારણે આ હત્યાઓ થઈ છે. મને નથી લાગતું કે વિકાસ દુબે ક્યારેય પકડાશે.’
વધુમાં ઉર્મિલાએ કહ્યું હતું કે વિકાસ દુબે તેના પતિનો હત્યારો છે અને જો તેને પકડી લેવામાં આવે તો તેને ગોળીઓથી વિંધી નાંખવો જોઈએ. તેણે માત્ર તેના પતિની નહીં પરંતુ અન્ય પોલીસકર્મીઓની પણ સહેજપણ ડર્યા વગર હત્યા કરી હતી. તેથી તેને સજા નહીં પણ મોત મળવું જોઈએ.
વિકાસ દુબેની ધરપકડ ના થવાના કારણે ઉર્મિલા અને અન્ય પરિવારજનો નારાજ છે. તેમણે પોલીસને વિનંતી કરી કે વહેલી તકે વિકાસને પકડી મોતને હવાલે કરવો જોઈએ. જ્યાંસુધી તેને મોતની સજા નહીં મળે ત્યાંસુધી તેમના પરિવારને શાંતિથી ઊંઘ નહીં આવે. અથડામણમાં શહીદ થયેલા સુલ્તાન સિંહ વર્માની પત્નીને 80 લાખ રૂપિયાનો ચેક યુપી સરકાર તરફથી આપવામાં આવ્યો છે. જ્યારે પ્રભારી મંત્રી રામ નરેશ અગ્નિહોત્રીએ 20 લાખ રૂપિયાનો ચેક શહીદ પોલીસકર્મીના પિતાને આપ્યો હતો.