સુરત : હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના કારણે ગુજરાતમાં ઘણાં લોકોના મોત નિપજ્યાં છે પરંતુ આ એક એવા દર્દી છે જેમના 90 ટકા ફેફસાં ડેમેજ હોવા છતાં પણ 119 દિવસ બાદ કોરોનાને હરાવ્યો હતો. આ દર્દીની તસવીર સામે આવ્યા બાદ લોકો આ વ્યક્તિને સલામ કરી રહ્યાં છે. સુરતમાં એક વેપારીના 90 ટકા ફેફસા ડેમેજ હતા અને 100 ટકા ઓક્સિજન પર રહેતા હતા. આ સુરતીને પરિવાર દરરોજ ફોન કરી હિંમત આપતા હતા. 30 સભ્યોના પરિવારે આપેલી હિંમત દવા બનીને કામે લાગી હતી અને 119 દિવસની લાંબી સારવાર બાદ કોરોનાને હરાવ્યો હતો ત્યાર બાદ ઘરે પહોંચ્યા હતાં.
સુરતના બેગમપુરાની દુધાળા શેરીમાં રહેતા 47 વર્ષના ચિંતેશ કણિયાવાલાએ ખાનગી હોસ્પિટલમાં 119 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપીને ઘરે પહોંચ્યા હતાં. ચિંતેશભાઈ કોરોનાને મ્હાત આપીને ઘરે પહોંચ્યા ત્યારે પરિવારજનોની આંખોમાં આસું આવી ગયા હતા.
પહેલા કોરોના થયો ત્યારે તેમને લાગતું હતું કે, તે હોસ્પિટલમાં અમુક દિવસની સારવાર બાદ પોતે ઘરે જતાં રહેશે પરંતુ જેમ જેમ હોસ્પિટલમાં દિવસ જતાં ગયા તેમ તેમ તેમની તબિયત બગડવા લાગી હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ચિંતેશભાઈના 90 ટકા ફેફસા ડેમેજ થઈ જતાં શ્વાસ લઈ શકતા ન હતા. જેથી તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.
એક સમયે આ સુરતીને એમ લાગતું હતું કે, હવે તે નહીં જીવી શકે અને પોતાના ઘરે પરત ફરી શકશે નહીં. આ સમયે તેમનો પરિવાર તેમની પડખે આવ્યો હતો. પરિવારના 30 જેટલા સભ્યો આ સુરતીને દરરોજ વીડિયો કોલ કરી હિંમત આપતું હતું. પરિવારનો એક સભ્ય દરરોજ હોસ્પિટલ ખાતે જઈને તેમની હિંમત આપતા હતા.
સતત 50 દિવસ ઓક્સિજન પર રહ્યા બાદ 80માં દિવસે ઓક્સિજન લઈ લેવામાં આવ્યો હતો. પરિવારની હૂંફ અને હિંમત આ વેપારી માટે દવા સાબિત થઈ હતી અને આખરે કોરોનાને મ્હાત આપી આ સુરતી 119 દિવસની સારવાર બાદ પોતાના ઘરે પરિવારના સભ્યો પાસે પહોંચ્યા હતા. તે દરમિયાન પરિવારજનોની આંખો આસુંઓથી છલકાઈ ગઈ હતી.