Only Gujarat

Gujarat

યુવાને સંતાનોની હત્યા કરી ગળેફાંસો ખાધો, લખ્યું-‘મારા મા સમાન ભાભી ઉપર હાથ ઉપાડયો, ભાઈ માફ કરજો’

ભાવનગરના વરતેજ તાબેના નવાગામે એક પિતાએ પુત્ર અને પુત્રીની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. પત્નીના આડા સંબંધોની શંકા તેમજ ઘર કંકાસને લઈને પત્ની રિસામણે પિયર ચાલી ગઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પિતાના શિરે પોતાના સંતાનોના ઉછેરની જવાબદારી આવી પડી હતી. તે દરમિયાન અચાનક આવેશમાં આવી પિતાએ પહેલા પુત્ર અને પુત્રીને ગળે ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધા. બાદમાં પોતે પણ પંખા સાથે લટકીને મોતને વહાલું કર્યું. જો કે મોતને ભેટતા અગાઉ પિતાએ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, મારી લંકા લૂંટાઈ ગઈ, મારી પત્નીને પર પુરુષ સાથે આડા સંબંધ હોવાથી હું મારાં છોકરા સાથે આપઘાત કરું છુ. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે ભાવનગરના નવાગામ વરતેજ ખાતે સામૂહિક આપઘાતની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. જેમાં લાલભાઈ નરેશભાઈ ચૌહાણ નામના પિતાએ 4 વર્ષનો પુત્ર માનવ અને 5 વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે દોરડા વડે લટકી જઇ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

આપઘાત પહેલા યુવાને બનાવેલો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહે છે કે મોટાભાઇ જીતુભાઇ તમારા દીકરાનો વાંક નથી. મારી પત્નીને આયરના છોકરા સાથે સંબંધ હતો. જિંદગીમાં મારે કરવું હતું તે કરી નાખ્યું છે. ગગલાને અને મારી વહુને ભલે ગમે તેવા સંબંધ હોય તો હવે તેને તેનું ઘર માંડવું હોય કે તેના ઘરમાં બેસવું હોય તો ભલે બેસે. ભલે તેના ઘરમાં રહે. હું અને મારા છોકરા રાજી ખુશીથી મરી જઇએ છીએ. મારે છોકરાને પણ જીવવા દેવા નથી. મારી પીઠ પાછળ ઘા કર્યો છે.

શ્રમજીવી પરિવારના લાલાભાઇ આ વીડિયોમાં આગળ કહે છે કે, આ દુ:ખના કારણે મરૂ છું અને મારા છોકરાને પણ મારૂ છું. જેણે મારી વહુને સપોટ કર્યો છે. તેને હું બદદુવા આપુ છુ. તે દુ:ખી થશે. મારો આત્મા બળી ગયો. જેની સાથે રહ્યો તેણે મને દગો દીધો છે. મેં જે વસ્તુ જાણી છે, જોઇ છે તે બહુ ખરાબ છે. કોઇને દોષ દેવો નથી. મારી લંકા લૂંટાઇ ગઇ છે. એટલે હું લૂંટાઇ જાવ છું.

મારા મા સમાન ભાભી ઉપર મેં હાથ ઉપાડયો છે. તો ભાઇ મને મોટાભાઇ છો. માફ કરી દેજો. મેં કાળમા આવીને હાથ ઉપાડયો હતો. મારી વહુએ જે કાળા મોઢા કર્યા છે. તે તે જ જાણે. હવે મારે કાંઇ જોવાનું નથી. હું મરી જાવ છું. તું તારા ઘર-પરિવારનુ ધ્યાન રાખજે. મેં જેનાથી પૈસા લીધા છે. તે ગટીયાથી લઇ લે તેમ કહેજે.

આ વીડિયો બનાવ્યા બાદ લાલાભાઈ પહેલા તેમના બંને સંતાનોને ગળે ટૂંપો દઇ દીધો. બાદમાં પોતે પણ ગળા ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પત્નીના આડા સંબંધોની શંકાને લઇ લાલાભાઇને તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો. તેથી પત્ની રિસાઇને પિયર ચાલી ગઇ હતી. સમજાવવા છતાં તે ઘરે નહીં આવતા લાલાભાઇ દુઃખી હતા. તેમના પર બંને સંતાનોને સાચવવાની જવાબદારી હોવાથી કામ પર પણ જઇ શકતા નહોતા. આખરે જિંદગીથી કંટાળીને તેમણે એવું પગલું ભર્યું કે જેનાથી આખો હર્યોભર્યો પરિવાર વિખેરાઇ ગયો.

You cannot copy content of this page