કોરાના મહામારીથી બચવા માટે લોકો બે બાબતોનું ખાસ ધ્યાન રાખે છે. એક તો માસ્ક પહેરવું અને બીજું વારંવાર હાથ ધોવા. જો કે ઘણાલોકો સાબુના સ્થાને હેન્ડ સેનિટાઇઝરથી હાથ સાફ કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ હેન્ડ સેનિટાઈઝરમાં રહેલ ટોક્સિક આલ્કોહોલથી અંધાપા સહિતની ઘણી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે.
FDAના જણાવ્યા પ્રમાણે વુડ આલ્કોહોલ એટલે, કે ઈથેનોલ અને મિથેનોલનું પ્રમાણ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરથી સ્વાસ્થ્યને પણ ઘણું નુક્સાન થઈ શકે છે. આવી જ એક ઘટના મહુડીમાં સામે આવી છે. જેમાં 40 વર્ષના યુવકના મોં-નાકમાં સેનિટાઈઝર જતાં ત્રણ દિવસમાં બંને આંખે દેખાવાનું બંધ થઈ ગયું. સેનિટાઈઝર મોં અને નાકમાં જવાને કારણે તેમના મગજ અને આંખને જોડતાં ચેતાતંતુ સંપૂર્ણપણે ડેડ થઈ જતા દૃષ્ટિ જતી રહી છે.
આ અંગેની વિગત એવી છે કે, મહુડી પાસે આવેલા પુન્દ્રા ગામના ચેતનભાઇ પટેલ એક સેનિટાઈઝર કંપનીમાં કામ કરે છે. કંડલામાં આવેલી કંપનીમાં સેનિટાઈઝરનું ટેન્કર આવ્યું હતું. તેમાંથી સેનિટાઇઝરને બેરલમાં ઠાલવી સલામત સ્થળે ખસેડવાની રહ્યા હતા. પરંતુ કોઈ કારણસર એક બેરલ લીક થતાં સેનિટાઈઝર ઉંડી તેમના નાક અને મોંમાં ઘુસી ગયું. તેના કારણે ધીમે ધીમે દ્રષ્ટિ ઝાંખી પડતી ગઇ. તેથી ચેતનભાઇ 8 થી10 તબીબોને બતાવ્યું હતું. પરંતુ દ્રષ્ટિમાં સુધારો નહીં થતાં અમદાવાદના તબીબને મળ્યા હતા. ચેતનભાઇનું માનીએ તો, સેનિટાઈઝર ઉડ્યા પછી તેમણે મોં સાફ કરી નાખ્યું હતું.
તેમણે વિસનગર, મહેસાણા, વિજાપુર અને અમદાવાદની બે હોસ્પિટલમાં 10 દિવસ સારવાર કરાવી. બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં તપાસ કરાવી તો બંને આંખના પડદાનો રિપોર્ટ નોર્મલ આવ્યા. જો કે હાલ તેમની આંખની નસ સફેદ થવા લાગી છે. તેના પરથી કહી શકાય કે મગજ-આંખને જોડતાં ચેતાતંતુ મૃતઃપાય થઈ ગયા છે, માટે દૃષ્ટિ જતી રહી છે.
તબીબોનું કહેવું છે કે કોરોના કાળમાં હાથ સાફ કરવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ મોંમાં કે આંખોમાં જાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. જે સેનિટાઈઝરમાં 70 ટકા ઈથેનોલ હોય તે જોખમી બની શકે છે. ઈથેનોલના વધુ પ્રમાણને કારણે આંખની નસને નુકસાન થાય છે.
ઘણી રેસ્ટોરાં કે ફુડ આઉટલેટ પર લોકો હાથ સેનિટાઈઝ કરીને જમતા હોય છે. જે ખૂબ નુકસાનકારક છે. ઈન્ટરનેશનલ હેલ્થ રિપોર્ટ્સ પ્રમાણે મીથેનોલ સહિતના હાનિકારક કેમિકલ ધરાવતાં હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગથી ઊલટી, અંધાપો, સ્ટ્રોક, કોમા સહિતની ગંભીર બીમારીઓ થઈ શકે છે.