લંડનઃ દુખાવા માટેની દવાઓ જેમકે પેરાસિટેમોલ, આઈબ્રૂફેન અને એસ્પ્રિન ક્રોનિક પેઈન (ઘણા અઠવાડિયા સુધી શરીરમાં થતી પીડા જેના કારણે રોજીંદા જીવનનું કામકાજ પ્રભાવિત થાય)ની સ્થિતિમાં ફાયદો કરવા કરતા નુકસાન વધુ કરે તેની શક્યતા રહેલી છે. બ્રિટન સરકારના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આ વાત કહેવામાં આવી છે. બ્રિટનની National Institute for Health and Care Excellence (NICE)એ ગાઈડલાઈન ડ્રાફ્ટ કરી છે. આ ઉપરાંત ડૉક્ટર્સને સલાહ આપી છે કે ક્રોનિક પેઈનના દર્દીઓને આ દવા ના આપવામાં આવે.
NICEએ જણાવ્યું કે, આ દવા દર્દીના સ્વાસ્થ્યને ફાયદો કરે છે કે પીડામાં રાહત આપે છે તે અંગે અત્યાર સુધી કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી, પરંતુ આ દવા નુકસાન કરી શકે છે તેના પુરાવા મળ્યા છે. જેમ કે દર્દીઓને આ પ્રકારના દવાઓની લત લાગી શકે છે. બ્રિટનની 33 ટકા વસ્તી ક્રોનિક પેઈનથી પીડાતી હોવાનો અંદાજ છે.
આવા લોકોમાંથી અડધા લોકો તો ડિપ્રેશનનો શિકાર બન્યા હોઈ શકે છે. જેના કારણે આવા લોકોમાંથી 70 ટકા લોકો તો કોઈપણ પ્રકારનું કામ કરવા અસમર્થ હોય છે. ગાઈડલાઈન અનુસાર ક્રોનિક પેઈનથી પીડાતા લોકોને અમુક એન્ટી ડિપ્રેશન્ટ્સ આપી શકાય છે.
ડ્રાફ્ટ ગાઈડલાઈન અનુસાર પેરાસિટોમોલવાળી દવાઓ જેમકે અસ્પ્રિન, આઈબ્રૂફેન, બેન્ઝોડાયઝેપિન્સ અથવા ઓપિયોડ્સ દર્દીઓને આપવી જોઈએ નહીં. કારણ કે તેનાથી ફાયદો થવાના પુરાવા નથી. NICEના સેન્ટર ફોર ગાઈડલાઈન્સના ડિરેક્ટર પૉલ ક્રિસ્પે કહ્યું કે, એ વાત સમજવી જરૂરી છે કે ક્રોનિક પેઈન કઈ રીતે લોકોના જીવનને અસર કરી રહી છે. તેના આધાર પર વધુ ગુણવત્તા સભર કેર પ્લાન તૈયાર કરી શકાશે.
ડ્રાફ્ટ ગાઈડલાઈનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ટોપિક પર વધુ અભ્યાસની જરૂર છે. જેથી અન્ય સંભવિત સારવારની શોધ કરવામાં આવે. આ અગાઉ બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેન્કૉકે કહ્યું કે, ડૉક્ટર્સ દ્વારા દુખાવાની દવા, ઊંઘની દવા અને એન્ટી ડિપ્રેશન્ટ્સ દર્દીઓને આપવાના ટ્રેન્ડ અંગે તેઓ ચિંતિત છે.