અમદાવાદ: થોડા દિવસ પહેલાં જ એટલે કે 19 નવેમ્બરે ‘વર્લ્ડ ટોયલેટ ડે’ની દેશ સહિત વિદેશમાં ઉજવણી કરવામાં આવી હતી. મોદી સરકાર પણ ઘરે-ઘરે ટોયલેટ અને દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે તે વાત પર વિશેષ કામ કરી રહી છે. ત્યારે અમદાવાદમાં ‘સ્વચ્છતા અને ટોયલેટ’ને લઈને એક અનોખું ‘ટોયલેટ કાફે’ બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં બનાવવામાં આવેલ કાફેનું નામ ‘ટોયલેટ કાફે’ છે.
માત્ર નામ જ નહીં પણ આ કાફેની થીમ પણ ટોયલેટ પર આધારિત તૈયાર કરવામાં આવી છે. અહીં ડાઈનિંગ ટેબલ તો છે પરંતુ બેસવા માટે ચેયર નહીં ટોયલેટ કબનો ઉપયોગ કરાયો છે. આ કાફે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ પાસેના સફાઈ વિદ્યાલયમાં તૈયાર કરવામાં આવ્યું છે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલ અહીંના ડાયરેક્ટર છે. આની સ્થાપના 1967માં ઈશ્વરભાઈ પટેલે કરી હતી. પહેલાં તેમણે ‘ટોયલેટ’ થીમ પર સ્કૂલનો બગીચો તૈયાર કર્યો હતો. આ કાફે બનાવવાનો હેતુ એ હતો કે, સફાઈ કામદારો તરફ ખરાબ નજરથી જોનારા લોકોની નજરમાં પરિવર્તન આવે. ત્યાર બાદ સફાઈ શાળાના ડિરેક્ટર બન્યા બાદ જયેશ પટેલે આ બગીચાને ટોયલેટ કેફેમાં ફેરવી દીધું હતું. જયેશ પટેલ ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલના પતિ છે.\
દેશનું પ્રથમ ટોયલેટ સેલિબ્રિટિઝને પણ આકર્ષિત કરે છે. અમદાવાદમાં બનાવવામાં આવેલા ‘ટોયલેટ કાફે’માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહાનાયક અમિતાભ બચ્ચન, દલાઈ લામા જેવી હસ્તીઓ પણ મુલાકાત લઈ ચૂકી છે. ઘરે શૌચાલય બનાવવાનો અને સ્વચ્છતા જાળવવાનો સંદેશ ફેલાવવા કાર્ય કરતા પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલે 1967માં ટોયલેટ ગાર્ડન તૈયાર કર્યું હતું.