Only Gujarat

Bollywood TOP STORIES

ફોઈ નહીં પરંતુ આ વ્યક્તિ પાડશે વિરાટ કોહલીની લાડલીનું નામ, અનુષ્કા સાથે છે ગાઢ સંબંધો

મુંબઈઃ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બપોરના 3.49 વાગે દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ આ ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયામાં શૅર કર્યા હતા. પહેલાં ચર્ચા હતી કે અનુષ્કાની દીકરીનું નામ ‘અન્વી’ રાખવામાં આવ્યું છે. જોકે, હજી સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. હવે, માનવામાં આવે છે કે અનંત મહારાજ દીકરીનું નામ પાડશે. સામાન્ય રીતે ફોઈ નામ પાડતા હોય છે. વિરાટ કોહલીની બેન ભાવના કોહલી છે. જોકે, તે નામ પાડવાની નથી.

કોહલીએ ચાહકોના નામે ખાસ મેસેજ શૅર કર્યો હતો અને કહ્યું હતું, ‘અમને બંનેને આ વાત જણાવતા આનંદ થાય છે કે અમારા ત્યાં આજે બપોરે દીકરીનો જન્મ થયો છે. તમારા પ્રેમ તથા મંગલકામનાઓના આભારી છીએ. અનુષ્કા અને દીકરી એકદમ ઠીક છે. અમારું સૌભાગ્ય છે કે અમને જીવનમાં આ નવું ચેપ્ટર અનુભવ કરવાની તક મળી. તમે જરૂરથી સમજશો કે અમારે અત્યારે થોડી પ્રાઈવસી જોઈએ છીએ.’

વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા બાબા અનંત મહારાજમાં માને છે. આ પહેલાં બંનેના લગ્ન સમયે તથા નવું ઘર ખરીદ્યું ત્યારે પણ બાબાનું નામ ચર્ચામાં આવ્યું હતું. અનુષ્કા શર્માનો પરિવાર વર્ષોથી આ બાબામાં માને છે. અનુષ્કા તથા વિરાટે ઈટલીમાં લગ્ન કર્યા ત્યારે પણ અનંત મહારાજ આશીર્વાદ આપવા ગયા હતા.

કોણ છે આ મહારાજ? બાબા અનંત મહારાજ હરિદ્વારમાં આવેલા અનંત ધામના ગુરુ છે. અનંત ધામની ઓફિશિયલ સાઈટમાં લખવામાં આવ્યું છે કે આખી દુનિયા એક પરિવાર છે. દુનિયા શાંતિ, પ્રેમ, સૌહાર્દ, વિશ્વાસ સાથે જ ટકી શકશે. 2007માં અનુષ્કાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું તે પહેલાં નિયમિત રીતે હરિદ્વારમાં આવેલા અનંત ધામની મુલાકાલ લેતી હતી. જોકે, બોલિવૂડમાં આવ્યા બાદ પણ અનુષ્કા બાબા અનંત મહારાજના આશીર્વાદ લેવા માટે હરિદ્વાર જાય છે પરંતુ આ મુલાકાતને સીક્રેટ રાખવામાં આવે છે. અનુષ્કા શર્માની માતા આશીમા શર્મા ગઢવાલી છે. ભૂતકાળમાં અનુષ્કા શર્માએ અનંત બાબાના ઘણાં જ વખાણ કર્યાં હતાં. તેણે કહ્યું હતું કે તેને જ્યારે પણ માનસિક શાંતિની જરૂર હોય તો તે પોતાના આધ્યાત્મિક ગુરુ પાસે પહોંચી જાય છે.

અનંત બાબાનું સાચું નામ પ્રદિપ અગ્નિહોત્રી છે. તેમનો જન્મ હરિદ્વારની નજીક આવેલા પઠરી ગામમાં થયો છે. તેઓ 15 વર્ષની ઉંમરમાં આધ્યાત્મિક જીવનમાં જોડાઈ ગયા હતા. તેઓ વેદ, ઉપનિષદ, વેદાંતા, બ્રહ્મ સૂત્ર, કુંડલિની યોગ, ક્રિયા યોગ, જ્યોતિષ, તંત્ર-મંત્ર જાણે છે. 2017માં અનુષ્કા તથા વિરાટે લગ્ન કર્યા તે પહેલાં બંને નવેમ્બર મહિનામાં હરિદ્વારમાં અનંત બાબાને મળ્યા હતા અને તેમની પાસે જ લગ્નની તારીખ નક્કી કરાવી હોવાનું માનવામાં આવે છે. શર્મા પરિવારના દરેક મહત્વના નિર્ણયમાં અનંત બાબા હાજર હોય છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં વિરાટ તથા અનુષ્કા પ્રથમ સંતાન અંગેની વાત શૅર કરી હતી. પ્રેગ્નન્સીમાં પણ અનુષ્કા સતત એક્ટિવ રહી હતી. તેણે પ્રેગ્નન્સીમાં બ્રાન્ડ કમિટમેન્ટ્સ પૂરા કર્યાં હતાં. અનુષ્કા મે મહિનામાં કમબેક કરશે.

You cannot copy content of this page