નેહા મહેતા અને ગુરુચરણ સિંહ પછી વધુ એક એક્ટરે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ છોડ્યો છે, આ લિસ્ટમાં હવે બીજું એક નામ ઉમેરાઈ ગયું છે. સિરિયલમાં ‘ટપુ’નું પાત્ર ભજવતો એક્ટર રાજ અનડકટ શો છોડવાનો છે. આ માટે પેપર પ્રોસેસ થઈ ગઈ છે. ‘ઇટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે રાજ અનડકટનો કોન્ટ્રાક્ટ પણ રિન્યૂ નથી કરવામાં આવ્યો.
ઘણા ટાઈમથી રાજને શો છોડવો હતો
રિપોર્ટ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી રાજ શો છોડવાનું વિચારી રહ્યો હતો અને આ માટે તેણે પ્રોડક્શન હાઉસને વાત પણ કરી હતી. શરૂઆતમાં સિરિયલના મેકર્સ પણ આ વાત પર અજમંજસમાં હતા. આ જ અરસામાં રાજનો કોન્ટ્રાન્ક્ટ રિન્યૂ થવાનો હતો, પણ તેણે જાતે જ રિન્યૂ કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને રાજે આ શોને અલવિદા કહેવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં, પણ ક્રિસમસ પહેલાં તે પોતાનું શૂટિંગ પણ પૂરું કરી લેશે. એ પછી તે સિરિયલમાં જોવા નહીં મળે.
બબીતા સાથે ટપુડાના અફેરની ચર્ચા
સિરિયલના સેટ પર બબીતા એટલે કે મુનમુન દત્તા તથા ટપુડા (રાજ અનડકટ) વચ્ચે અફેર હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ‘ઇટાઇમ્સ’ના રિપોર્ટ પ્રમાણે, મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે. અફેરની બાબતે મુનમુન દત્તાએ થોડા સમય પહેલાં નામોલ્લેખ વિનાની પોસ્ટ મૂકીને પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.
પરિવારને પણ રિલેશનની ખબર છે
મુનમુન દત્તા તથા રાજ અનડકટના પરિવારને પણ બંનેના સંબંધોની જાણ છે. આટલું જ નહીં ‘તારક મહેતા..’ની આખી ટીમને પણ બંનેના સંબંધો વિશે ખબર છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મુનમુન તથા રાજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અફેર ચાલે છે. જોકે વાત છેક હવે બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ 24 વર્ષનો છે અને મુનમુન દત્તા 33 વર્ષની છે. બંને વચ્ચે ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે. ચર્ચા છે કે બંને લગ્ન પણ કરવાના છે.
રાજ 2017થી ‘તારક મહેતા..’માં જોવા મળે છે
મુંબઈમાં જન્મેલા રાજે 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંઝેદારી કા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ, 2017 સુધી ‘તારક મહેતા..’માં ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કર્યો હતો. તેણે સિરિયલ છોડી ત્યાર પછી રાજને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો.
‘નટુકાકા’ની વિદાય પછી સિરિયલને વધુ એક ઝટકો
હજુ બે મહિના પહેલાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ‘નટુકાકા’નું પાત્ર ભજવતા એક્ટર ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની જગ્યાએ બીજા કોઈ કલાકારને લેવાનો નિર્ણય હજુ સુધી મેકર્સે લીધો નથી. એમની વિદાય પછી આ પોપ્યુલર કોમેડી શૉને આ બીજો ઝટકો લાગ્યો છે.