મુંબઈઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. દેશમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત વધી રહ્યાં છે. એવામાં અનેક હોસ્પિટલો મહામારીનો લાભ ઉઠાવી દર્દી પાસે સારવારનાં તોતિંગ રૂપિયા પડાવે છે. તો બીજી તરફ ઘણાં લોકો ફ્રીમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે હૉસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ બનાવી રહ્યાં છે.
આ મુશ્કેલીમાં સરકારની સાથે ફિલ્મ સ્ટાર પણ મદદ કરી રહ્યાં છે. હાલમાં બૉલિવૂડના કિંગ ખાન એટલે કે, શાહરૂખ ખાને તેમની ઑફિસને ICUમાં બદલી છે. શાહરૂખ ખાને મુંબઈના ખારમાં સ્થિત તેમની ચાર માળની પર્સનલ ઑફિસ કોરોના પોઝિટિવ દર્દી માટે 15 રૂમના ICUમાં બદલી દીધી છે.
અહીં 24 કલાક ઑક્સિજન, વેન્ટિલેટર, ડૉક્ટર્સ, નર્સ અને હાઉસકીપિંગ સ્ટાફની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની ઑફિસમાં બનાવવામાં આવેલાં ICUની દરેક જવાબદારી હિન્દુજા હૉસ્પિટલે લીધી છે.
શાહરૂખ ખાનની ઑફિસ માટે મીરા ફાઉન્ડેશન, હિન્દુજા હૉસ્પિટલ અને BMCએ ICU તૈયાર કર્યાં છે. હિન્દુજા હૉસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર અવિનાશ સુપેએ કહ્યું કે, ‘‘દેશમાં જે સ્થિતી છે તેને પહોંચી વળવા માટે વધારે ICUની જોઈએ છે. જે માટે પછી ક્વોરન્ટીન સેન્ટરમાં અમે બેડ ઉપલબ્ધ કરાવ્યા, વેન્ટિલેટર અને ક્રિટિકલ દર્દીઓ માટે ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક પણ મૂકાવવામાં આવી છે. શાહરૂખ ખાનનું આ પગલું પ્રસંશાને પાત્ર છે.’’
ઉલ્લેખનીય છે કે, થોડાં મહિના પહેલાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને પણ તેમની ઑફિસને ક્વોરન્ટીન સેન્ટરમાં બદલવાનો નિર્ણય કર્યો હતો. જે પછી ત્યાં ક્વોરન્ટીન સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાંથી કેટલાક દર્દી સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયાં હતાં તો કેટલાક દર્દીને બીજી જગ્યાએ શીફ્ટ કરવામાં આવ્યા હતાં.