Only Gujarat, Bhuj: લંડનમાં જન્મ, બ્રિટનમાં જ કાયદાનો ઉચ્ચ અભ્યાસ, વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છતાં મૂળ ભુજ પાસેના નારણપરના મંજુ કેરાઈએ 25 વર્ષની વયે લંડનું જીવન હંમેશા માટે છોડ્યું અને વતન કચ્છની વાટ પકડી હતી. અહીં આવીને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સાંખ્યયોગી (સાધ્વી) મંજુ ફઈ બન્યા અને પ્રભુ ભક્તિની અંતર યાત્રા તરફ પ્રસ્થાન કર્યું હતું.
મંજુ ફઈ કહે છે કે, મારો ઉછેર ભલે લંડનમાં થયો હોય પણ વતન કચ્છની સંસ્કૃતિ અને તેના સાથેનો લગાવ અંપ્રતિમ હતો. એટલે જ વતન વાપસી કરીને ત્યાગી બનાવવાની ઈચ્છા વધુ પ્રબળ બની હતી.
મંજુના પિતા લાલજી કેરાઈ લંડનમાં સિક્યુરિટીનો બિઝનેસ કરતાં હતાં. હવે તેઓ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યાં છે. તેમની માતા બેકરી આર્ટીસ્ટ છે. મંજુ ફઈ કહે છે કે, કિશોરાવસ્થામાં જ સંસારની મોહમાયા પ્રત્યે અભાવ જાગ્યો હતો.
મંજુ ફઈ એક બાજુ હરીના નામની માળા જપે છે જ્યારે બીજી બાજુ લેપટોપ પર હરિભક્તોને ઓનલાઈન પ્રવચન આપે છે. દેશ-વિદેશથી લોકો તેમને સાંભળવા જોડાય છે.
શિક્ષિત હોવ તો મનના સંકુચિત વિચારો ભીતર પ્રવેશતા નથી. હું યુવા છું તો આજના યુવાનોને તેમની ભાષામાં ઉપદેશ આપું છું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર પ્રભુત્વ હોવાને લીધે શાશ્ત્રોનું જ્ઞાન ત્રણેય ભાષામાં આપું છું. કાયદામાં સ્નાતકની પદવી મેળવી છે, જેમ સમાજના ગુનાઓની સજા નિર્ધારિત છે તેમ ધર્મના કાયદામાં પાપના પ્રયશ્ચિત નક્કી કરેલા છે.