દેશની રક્ષા કરનાર જવાનનું જેટલું સન્માન કરો એટલું ઓછું છે. બોર્ડર પર પોતાની જાન જોખમમાં મુકીને દેશ અને દેશવાસીઓની રક્ષા કરનાર જવાનો પર દરેક ભારતીયોને ગર્વ છે. તો આવું જ કંઈક રાજગઢ જિલ્લાના નરસિંરગઢમાં જોવા મળ્યું હતું. અહીં 17 વર્ષની નોકરી બાદ એક જવાન પોતાના ઘરે પહોંચ્યો તો તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. મહિલાઓએ આરતી ઉતારી હતી. લોકોએ તેમને ઘોડા પર વરરાજાની જેમ બેસાડ્યા હતાં અને વાજતે-ગાજતે તેના ઘર સુધી લઈ ગયા હતાં.
પોતાનું સ્વાગત જોઈને જવાન બહુ જ ભાવુક થઈ ગયો હતો. તેને આશા પણ નહોતી કે લોકો તેનું આટલું ભવ્ય સ્વાગ કરશે. આ જવાન છે મનીષ ચોપડા. તેઓ સોમવારે પોતાના માદરે વતન પહોંચ્યા હતાં જ્યાં લોકોએ તેને ઊંચો કરીને ઘોડા પર ગામમાં ફેરવ્યો હતો. આ દરમિયાન દરેક જગ્યાએ ફૂલનો વરસાદ કરીને જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડ પર એક સ્ટેજ બનાવવામાં આવ્યું ત્યાં જવાનનો સમાપન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ‘ભારત માતા કી જય’ની તસવીર પણ મુકવામાં આવી હતી. જ્યાં લોકોએ જવાનનું સન્માન કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, મનીષ જ્યારે પણ રજાને લઈને નરસિંહગઢ આવતા હતા ત્યારે યુવા વર્ગને સેનામાં જોડાવવાની ટ્રેનિંગ આપતા હતાં. તેમની ટ્રેનિંગનું પરિણામ છે કે તેમના વિસ્તારના 47 યુવકો અને 7 યુવતીઓ હાલ સેનામાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
જોકે, મનીષે જ્યારે સોમવારે નરસિંહગઢમાં પગ મુક્યો ત્યારે લોકોએ તેમને પોતાના ખભે બેસાડીને ઊંચો કરી દીધો હતો. મહિલાઓએ આરતી ઉતારીને તેમનું સ્વાગત કર્યું હતું.
મનીષે કહ્યું હતું કે, તેમણે દેશની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમની સરહદો પર ફરજ બજાવી ચૂક્યા છે. દેશ માટે સરહદ પર રહીને સેવા કરવી ગૌરવથી ઓછું નથી. મનીષની સાથે સેલ્ફી પડાવવા માટે લોકોની લાઈનો લાગી હતી. તેમની સ્વાગત રેલી દરમિયાન દેશભક્તિ ગીતો વાગતાં હતાં.
સ્વાગત રેલી પહેલા મનીષ હાઈવે પર મારૂતિનંદન મંદિર પહોંચ્યા હતાં. જ્યાં હનુમાનજીના આશિર્વાદ લીધા હતાં. ત્યાર બાદ સ્વાગત રેલી શરૂ થઈ હતી. રસ્તામાં મનીષે અમર શહીદ કુંવર ચૈન સિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોજની પ્રતિમાઓને પણ સેલ્યૂટ કર્યું હતું.