રાજકોટ: શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓમાં પેટીસનું સૌથી વધુ ચલણ હોય છે પણ કેટલાક ભેળસેળિયાઓ નફો રળવા માટે તેમાં પણ બિનફરાળી લોટ વાપરી લોકોના વ્રતને અભડાવી રહ્યા છે. ત્યારે મનપાની ફૂડ શાખા ફરસાણની દુકનોમાં ચેકિંગમાં નીકળી હતી.
એ સમય દરમિયાન રેલનગર અંડરબ્રીજ પાસે દુકાનદાર વિક્રમભાઇ મિયાણાની દુકાનમાં તપાસ અર્થે જતા મકાઈના લોટમાંથી બનતી પેટીસ જોઈ હતી. તેથી તાત્કાલિક મકાઈના લોટમાંથી બનાવેલી 4 કિલો પેટીસનો આરોગ્ય વિભાગે સ્થળ પર જ નાશ કર્યો. હતો. આ ઉપરાંત વિમલ નમકીનમાં જુન 2020માં એક્સપાયર થયેલ 23 કિ.ગ્રા.ચેરી મળી આવી હતી જેનો પણ સ્થળ પર જ નાશ કરાયો હતો.
વધુ નફા માટે મકાઈના લોટની કરે છે ભેળસેળ
ફરાળી પેટીસમાં રાજગરાનો લોટ વપરાયછે. જોકે તેનો ભાવ 130 રૂપિયા કિલોની આસપાસ છે. જ્યારે મકાઈના લોટનો ભાવ 30થી 40 રૂપિયા હોય છે. જેથી નફાખોર વેપારીઓ મકાઈનો જ લોટ વાપરી રહ્યા છે.ફૂડ શાખાએ કોઠારિયા મેઈન રોડ પરની શ્યામ ડેરીમાંથી મીના ન્યુટ્રાલાઈટ ટેબલ માર્ગેરીનના નમૂના લીધા હતા જેમાં ધારાધોરણ મુજબ ગુણવત્તા ન નીકળતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.
નોંધનીય છે કે ગઈ કાલે પણ પારસ સ્વીટ માર્ટ સહિત 10 ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું. જેમાં 33 કિ.ગ્રા. વાસી ફરાળી પેટીસ,18 કિ.ગ્રા. મકાઇનો લોટ અને 7 કિ.ગ્રા મોળા માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. શહેરમાં પ્રખ્યાત શ્રી ક્રિષ્ના ડેરી ફાર્મ સહિત દૂધની આઈટમ બનાવતા 5 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ પેંડા તથા ચોકલેટના નમૂના પણ લેવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ)નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસવામાં આવી હતી.