Only Gujarat

Bollywood

ફેમસ અભિનેત્રી પરવીન બાબીની લાશ સડી ગઈ હતી, પોલીસ દરવાજો તોડ્યો અને…

તારીખ-22 જાન્યુઆરી 2005. જગ્યા- એજ રિવેરા બિલ્ડિંગ, 7મો માળ, જુહુ, મુંબઈ.
એક એપાર્ટમેન્ટના દરવાજાની બહાર છાપા અને દૂધનાં પેકેટ ત્રણ દિવસથી ભેગાં થયાં હતાં. દરવાજા પર ન તો તાળું હતું, ન તો કોઈ ત્રણ દિવસથી બહાર આવ્યું હતું. પાડોશી ભેગા થયા, ત્યારે તેમને શંકા ગઈ. દરવાજાની પાસે ગયા ત્યારે સડવાની દુર્ગંધને કારણે વધારે સમય રોકાઈ શક્યા નહીં. શંકાસ્પદ પરિસ્થિતિને કારણે પાડોશીઓએ પોલીસને જાણ કરી. પોલીસ પહોંચી, દરવાજો ખખડાવ્યો ત્યારે કોઈ જવાબ ન મળ્યો. પોલીસ દરવાજો તોડીને અંદર ગઈ, ત્યારે રૂંવાડાં ઊભાં કરી દે એવાં દૃશ્યો આંખોની સામે હતાં.

પોતાના જમાનાની સુંદર અને પોપ્યુલર એક્ટ્રેસ પરવીન બાબીની લાશ બેડ પર પડી હતી, પરંતુ ઓળખવાલાયક એ ન હતી. શરીર સડેલું હતું અને રૂમમાં એટલી દુર્ગંધ હતી કે કોઈ શ્વાસ લઈ નહોતું શકતું. રૂમ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત હતો અને બેડ પાસે વ્હીલચેર પડી હતી. પરવીન બાબીનું મોત તેની લાશ મળ્યાના 72 કલાક પહેલાં થઈ ગયું હતું.

ભૂખને કારણે મોત થયું: પરવીન બાબીના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રિપોર્ટમાં તેમના શરીરમાં એકપણ ખાવાનો કણ મળ્યો નહોતો. પરવીન બાબી ઘણા દિવસથી ભૂખી હતી, પરંતુ તેના શરીરમાં આલ્કોહોલ મળ્યો હતો. રિપોર્ટમાં સામે આવ્યું કે પરવીને મર્યાના 3-4 દિવસ પહેલાનું કંઈ ખાધું નહોતું. ભૂખને કારણે તેના શરીરના ઘણાં અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરવીનના શરીરમાં સૌથી વધુ સડો તેના પગમાં હતો. પગની આંગળીઓ કાળી પડી ગઈ હતી.

અધૂરો પ્રેમ છતાં અંતિમસંસ્કારમાં પહોંચ્યા મહેશ, ડેની, કબીર
23 જાન્યુઆરી 2005, કૂપર હોસ્પિટલમાં પરવીન બાબીનું પોસ્ટમોર્ટમ થયું, પરંતુ કોઈપણ સંબંધી તેનો મૃતદેહ ક્લેઈમ કરવા હોસ્પિટલ આવ્યો નહોતો. લાશ મળ્યાના બે દિવસ થઈ ચૂક્યા હતા, પરંતુ કોઈ ખબર લેવા પણ આવ્યું નહોતું. અંતે ફિલ્મમેકર મહેશ ભટ્ટ મૃતદેહ લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મહેશે જ પરવીનના અંતિમસંસ્કારની વ્યવસ્થા કરી હતી.

પરવીને તેના મૃત્યુના થોડા મહિના પહેલાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને ખ્રિસ્તી ધાર્મિક વિધિઓ અનુસાર અંતિમસંસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેના મુસ્લિમ સંબંધીઓએ તેનો વિરોધ કર્યો હતો અને તેને જુહુના સાંતાક્રુઝ કબ્રસ્તાનમાં મુસ્લિમ વિધિઓ અનુસાર દફનાવવામાં આવી હતી.

70-80ના દાયકાની સૌથી સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી માનવામાં આવતી પરવીન બાબીના લાખો ચાહકો હતા. તે પ્રથમ બોલિવૂડ સ્ટાર હતી, જેને ઈન્ટરનેશનલ ટાઈમ મેગેઝિનના કવર પેજ પર સ્થાન મળ્યું હતું. અમર અકબર એન્થોની, શાન, નમક હલાલ, કાલિયા જેવી ડઝનેક બેસ્ટ ફિલ્મોમાં જોવા મળેલી પરવીનનું આટલી દર્દનાક સ્થિતિમાં મૃત્યુ કેવી રીતે થયું?

કારણ હતું પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા, એક અસાધ્ય રોગ, જેને કારણે પરવીન અમિતાભ બચ્ચન, બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ, જોન એફ કેનેડીને પોતાના જીવનના દુશ્મન માનવા લાગી. ઘણી વખત એવું પણ બન્યું કે જ્યારે ચાલુ શૂટિંગ દરમિયાન પરવીને અમિતાભ પર મારી નાખવાનો ગંભીર આરોપ લગાવ્યો અને પછી તે અચાનક સેટ પરથી ગાયબ થઈ ગઈ.

5 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી
4 એપ્રિલ 1954ના રોજ ગુજરાતના જૂનાગઢમાં મોહમ્મદ ખાનના ઘરે પરવીને જન્મ લીધો હતો. તે પશ્તૂનના બાબી ટ્રાઈબલથી હતી, જે જૂનાગઢના નવાબોના ખાનદાનથી સંબંધ રાખતા હતા. પરવીનનો જન્મ તેમના પેરેન્ટ્સના લગ્નનાં 14 વર્ષ પછી થયો હતો. માત્ર 5 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. અમદાવાદથી અભ્યાસ પૂર્ણ કરી પરવીને મોડલિંગ શરૂ કર્યું. કોલેજના દિવસોથી જ બોલ્ડ પરવીન સિગારેટ પીતી હતી. એક દિવસ કશ લગાવતી પરવીન પર ફિલ્મમેકર બીઆર ઈશારાની નજર પડી અને પરવીનને હિરોઈન બનાવવાનું નક્કી કર્યું.

સેટ પરથી અચાનક ગાયબ થઈ, 6 વર્ષ પછી પરત ફરી
વર્ષ 1983માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પરવીન અચાનક સેટ પરથી ગાયબ થઈ ગઈ હતી. આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે પરવીન પર અંડરવર્લ્ડના લોકો નજર રાખતા હતા, જેમણે તેને ગાયબ કરી દીધી હતી. અભિનેત્રીની ઘણી ફિલ્મો તેની ગેરહાજરીમાં રિલીઝ થઈ હતી. 6 વર્ષ પછી, પરવીન મુંબઈ પાછી આવી અને તેણે સ્પષ્ટતા કરી કે પોતે આધ્યાત્મિકતા માટે ઈન્ડસ્ટ્રી છોડી હતી.

પોતાની બીમારી બધાથી છુપાવી રાખી
પરવીન બાબી 1989માં મુંબઈ આવી હતી. દરમિયાન સમાચાર સામે આવ્યા કે પરવીન બાબીને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા નામની ગંભીર બીમારી છે, પરંતુ જ્યારે પણ તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે એનો ઇનકાર કર્યો. બીમારીના જવાબમાં પરવીને કહ્યું કે ઈન્ડસ્ટ્રીના લોકો જાણીજોઈને તેને પાગલ કહી રહ્યા છે. પરવીનનાં વિચિત્ર નિવેદનોને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો, તેના મિત્રોએ તેનાથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું.

અફેર્સ ચર્ચામાં રહ્યા
પરવીન બાબીનું ઈન્ડસ્ટ્રીમાં પહેલું અફેર ડેની ડેન્ઝોંગપા સાથે હતું. બંનેનો સંબંધ લગભગ 4 વર્ષ સુધી ચાલ્યો. પરવીન કબીર બેદી સાથે પણ રિલેશનશિપમાં હતી, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. કબીર બેદી સાથેના બ્રેકઅપ પછી પરવીન મહેશ ભટ્ટને મળી, જેઓ પહેલેથી પરિણીત હતા. મહેશ એ સમયે ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યા હતા, જ્યારે પરવીન બાબી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું. પરવીન બાબી અને મહેશ ભટ્ટની નિકટતાને કારણે મહેશના લગ્નજીવનમાં સમસ્યાઓ આવવા લાગી, પરંતુ તેમ છતાં તેમણે પરવીન પર ધ્યાન આપ્યું.

લોકોને પોતાના જીવનો દુશ્મન સમજતી હતી
પરવીને બિલ ક્લિંટન, પ્રિન્સ ચાર્લ્સ, US ગવર્નમેન્ટ, અમિતાભ બચ્ચન સહિત ઘણા પ્રખ્યાત લોકો વિરુદ્ધ કેસ ફાઈલ કર્યા. પરવીનનું કહેવું હતું કે આ લોકો તેમનો જીવ લેવા માગે છે. કોર્ટે પુરાવાના અભાવે કેસ બંધ કર્યો.

સંજય દત્ત વિરુદ્ધ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
1993ના સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં 2002માં પરવીન બાબીએ એફિડેવિટ ફાઈલ કરીને કહ્યું હતું કે તેમની પાસે સંજય દત્ત વિરુદ્ધ મજબૂત પુરાવા છે. તેને સુનાવણી માટે કોર્ટમાં બોલાવવામાં આવી હતી, પરંતુ તે હાજર થઈ ન હતી. ત્યાર પછી પરવીને કહ્યું કે જો હું આવી હોત તો તે લોકોએ મારી હત્યા કરી નાખી હોત.

મોતનાં ઘણાં વર્ષ પછી પણ પરવીનના ફ્લેટમાં કોઈ નથી જતું
પરવીન બાબીના મોતનાં 18 વર્ષ પછી પણ જુહુ સ્થિત તેનો ફ્લેટ ખાલી પડ્યો છે, જ્યાં તેનો મૃતદેહ મળ્યો હતો. આ ફ્લેટની કિંમત 15 કરોડ છે અને ભાડું 4 લાખ. 2014માં એક વ્યક્તિએ આ ફ્લેટ ભાડે રાખ્યો હતો, પરંતુ કોમર્શિયલ વપરાશને કારણે તેને ફ્લેટમાંથી કાઢવામાં આવ્યો હતો. આ પછી તે ફ્લેટમાં કોઈ રહેવા નથી ઈચ્છતું. એક મીડિયા રિપોર્ટના આધારે એ ઘરમાં રહેતા લોકોને ડર લાગે છે.

You cannot copy content of this page