Only Gujarat

Bollywood

આતંકીઓએ 17 વર્ષ પહેલા પતિનું કર્યું હતું અપહરણ, KBC વિનરની આંખો હજી પણ જોઈ રહી છે રાહ…

 

મુંબઈઃ અમિતાભ બચ્ચનનો સૌથી લોકપ્રિય શો ‘કોન બનેગા કરોડપતિ’ 28 સપ્ટેમ્બરથી રાતે 9 વાગે ફરી શરૂ થશે. આ વખતે શો ઘણો અલગ રહેશે અને તેના પ્રોમોઝ પણ શરૂ થઈ ગયા છે. સોની ટીવીએ તાજેતરમાં એક પ્રોમો શેર કર્યો છે. આ પ્રોમોમાં કેબેસી સિઝન 10ની મહિલા વિજેતા બિનીતા જૈન જોવા મળી રહી છે, તે આ સિઝનની એકમાત્ર કરોડપતિ સ્પર્ધક રહી હતી. તેણે 1 કરોડ રૂપિયા જીત્યા હતા. વીડિયોમાં તે પોતાના જીવનના સૌથી મોટા ઝાટકા વિશે વાત કરે છે, તેણે કહ્યું કે,‘જ્યારે પતિનું અપહરણ કરવામા આવ્યું, તે ઘટનાએ મારું જીવન બદલી નાંખ્યું.’અમે અહીં બિનીતાના જીવનની એ દુઃખદ ઘટના વિશે જણાવી રહ્યાં છીએ.

બિનીતા કેબેસી 10માં સામેલ થઈ હતી. તે આસામના ડિબ્રુગઢમાં રહે છે પરંતુ મૂળ સીકરની છે. બિનીતાનું જીવન દુઃખ અને સંઘર્ષથી ભરપૂર રહ્યું છે. તેના પતિ હજુસુધી પાછા આવ્યા નથી પરંતુ તે હજુ પણ તેમની રાહ જોઈ રહી છે.

બિનીતાએ એકવાર જણાવ્યું હતું કે,‘દરવાજા પર જરા પણ અવાજ સંભળાય છે તો તેની આશાઓ ફરી જાગી ઉઠે છે કે પતિ આવ્યા હશે કે તેમના સમાચાર આવ્યા હશે. રાહ જોતા જોતા હવે આંખો પણ થાકી ગઈ છે પરંતુ આશા છોડી નથી.’

બિનીતાએ જણાવ્યું કે, કાયદાકીય રીતે તેના પતિને હવે મૃત જાહેર કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેણે આ મામલે હજુ આશા છોડી નથી. તેણે કહ્યું હતું કે,‘વાત 2003ની છે. મારા પતિ વેપાર માટે બહાર ઘણીવાર જતા. જોકે એકવાર તેઓ ઘરે પરત આવ્યા નહીં, જે પછી તેમના અપહરણની જાણ થઈ.

મારા પરિવારજનોએ શોધખોળ માટે તમામ પ્રયાસો કર્યા, કંઈ સમજમા નહોતું આવતું કે શું કરીએ. અંતે સ્થિતિ સાથે સમાધાન કરતા રાહ જોઈ આગળ વધવાનો નિર્ણય કર્યો. મે વિચાર્યું કે બાળકોને ભણાવવાનું શરૂ કરી દઉં, ઘરે પણ રહીશ અને પોતાના બાળકોનું પણ ધ્યાન રાખી શકીશ.’

બિનીતાએ આગળ કહ્યું હતું કે,‘મે લગ્ન બાદ પોતાના પરિવારજનો સમક્ષ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેઓ માની ગયા. મારા પરિવારજનો કરતા મને સાસરીવાળાઓએ વધુ ભણાવી છે. મે ગ્રેજ્યુએશન કર્યું ત્યારે દીકરો 3 વર્ષનો હતો. મારા બાળકો આગળ વધી જે કરવા માગશે તે કરવા દઈશ. પતિના અપહરણ સુધી બધુ બરાબર હતું. જોકે આ દુઃખદ ઘટના બાદ કંઈ ના કરવા પર ડિપ્રેશનનો ભોગ બનવાનો ભય હતો. મારા મતે જ્યારે તમે આવી સ્થિતિમાં હોવ ત્યારે ભગવાન પોતે તમારી મદદ કરતા હોય છે.’

બિનીતા માને છે કે, તેના પતિ જ્યાં પણ હશે સ્વસ્થ હશે. જો ભાગ્ય સાથ આપશે તો તેના પતિ ઘરે પરત આવી પણ જાય. બિનીતા પાસે કેબીસી 10માં 7 કરોડ જીતવાની તક હતી પરંતુ જવાબ ના આવડતો હોવાના કારણે તેણે 1 કરોડ સાથે ગેમ છોડવાનો નિર્ણય કર્યો હતો.

 

You cannot copy content of this page