નવસારી: હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો ગયો છે ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી સિવિલ હોસ્પિટલના કોરોના વાર્ડમાં ફરજ બજાવતી 27 વર્ષની એક નર્સ ઓગસ્ટ મહિનામાં કોરોનાની ઝપેટમા આવી ગઈ હતી. પરંતુ કોરોનાને માત આપી ફરી ફરજ પર હાજર થઈ ગઈ હતી. જોકે તે નર્સની તબિયત નાદુરસ્ત જણાતા ફરી સારવાર માટે રજા માંગી હતી. જોકે કોરોના વોરિયર્સની હિંમતને બીરદાવી સહયોગ આપવાના બદલે રજા નહીં આપી ત્રાસ અપાતા કંટાળેલી નર્સે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી તે દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી તેમાં ઘણાં ખુલાસા થયા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આત્મહત્યા કરનાર નર્સની પણ ઘણી તસવીરો સામે આવી જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આત્મહત્યા કરવાના નર્સ મેઘાની રૂમમાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી હતી જેમાં અનેક ખુલાસા થયા હોવાનું સામે આવી રહ્યું છે. મેઘાએ આત્મહત્યા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી તે પ્રમાણે, મારા સાસરિયાઓને મારી અંતિમવિધિમાં હાજર રાખશો નહીં.
નવસારી પોલીસના જણાવ્યા પ્રમાણે, નવસારી સિવિલ હોસ્પિટલમાં મેઘાબેન અંકિત ખંભાતી નર્સ તરીકે 4 વર્ષથી ફરજ બજાવતી હતી. તેણી ઓગસ્ટ મહિનામાં કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. પરંતુ કોરોનાને મ્હાત આપી આ નર્સ તાત્કાલિક ફરજ પર હાજર થઈ ગઈ હતી. જોકે હાજર થયાના થોડા દિવસ સુધી તેની તબિયત સારી ન રહેતા તેણે ફરી રજાની માંગ કરી હતી પરંતુ ઉપરી નર્સ દ્વારા રજા બાબતે હેરાન કરી જાહેરમાં અપમાન કરવામાં આવી હતી જેને લઈને નર્સ કંટાળી ગઈ હતી. ત્યારે 22 ઓક્ટોબરે રાતે પોતાના બેડરૂમમાં પંખા સાથે સફેદ રંગની ઓઢણી વડે ફાંસો ખાઈ લીધો હતો.
સવારે રૂમમાં નર્સની માતા જોવા ગઈ તો બેડરૂમમાં પુત્રીનો મૃતદેહ લટકતો હતો જે દ્રશ્ય જોઈ માતા સ્તબ્ધ થઈ ગયા હતાં અને બૂમાબૂમ કરી મુકી હતી. નર્સની માતાનો અવાજ સાંભળતાં જ આસપાસના લોકો ઘરમાં દોડી આવ્યા હતાં. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મીનિટોમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી તે દરમિયાન એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં અનેક ખુલાસ થયા હતાં.
મેઘા આચાર્યએ જીવનની બીજી ઈનિંગ નોકરીની શરૂઆત સિવિલ હોસ્પિટલમાં કરી હતી અને નવસારીની સિવિલ હોસ્પિટલમાં 4 વર્ષ ફરજ બજાવી ચુકી હતી. માતાની સેવા કરવા માટે પહેલા સિવિલ હોસ્પિટલની નોકરી અને બીજા ક્રમે પોતાનું અંગત લગ્ન જીવન રાખ્યું તે જ હોસ્પિટલમાં તેણીના મૃતદેહનું પીએમ થયું હતું.
આત્મહત્યા કરનાર નર્સની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી સિવિલ હોસ્પિટલમાં કામ કરતી હતી. રોજ સાંજે ઘરે આવીને ધ્રસૂકે-ધ્રૂસકે રડતી હતી અને માતાને જણાવતી કે તેને સ્ટાફ દ્વારા કામ બાબતે માનસિક ત્રાસ અપાતો હતો. અમુક ડોક્ટરો છુપી રીતે મેસેજ કરી કામ બાબતે દબાણ કરતા હતા. આવી અનેક ફરિયાદને લઈ મેં તેને નોકરી છોડી દેવા પણ જણાવ્યું હતું પરંતુ મારી પુત્રી માની નહી અને આજે મારા આ દિવસો જોવાનો વારો આવ્યો.
મૃતક મેઘા આચાર્ય 29-8-2016ના રોજ સિવિલ હોસ્પિટલમાં હંગામી નર્સ તરીકે ફરજ પર લાગી હતી અને એક વર્ષ બાદ કાયમી થનાર હતી. વર્ષ-2018માં તેના લગ્ન ધરમપુરમાં રહેતા અંકિત ચંપક ખંભાતી સાથે થયા હતા પણ કૌટુંબિક કારણસર છેલ્લા 7 મહિનાથી અલગ રહેતા હતા. નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરી તેની માતા મીનાક્ષીબેન સાથે વિજલપોરમાં રહેતી હતી. મેઘા કોરોના વોરિયર્સ તરીકે ઘણી જગ્યાએ સન્માનિત થઈ હતી. અને તે લેખન-વાંચનની પ્રવૃતિ સાથે પણ સંકળાયેલા હતા.