બેઈજિંગ- જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય તો માતા-પિતાની સાથે પાડોશીઓ પણ ખુશ થતા હોય છે. પરંતુ ચીનમાં બાળકના જન્મબાદ માતા જ ગર્ભનાળ ખાઈ જાય છે તેવી વિચિત્ર પરંપરા વર્ષોથી ચાલી આવે છે. તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું છે.
ચીનમાં ગર્ભનાળને પ્લેસેંટોફેગી કહેવામા આવે છે. લોકોનું માનવું છે કે પ્લેસેંટામાં ઘણા પોષક તત્ત્વો હોય છે. જેના કારણે બાળકના જન્મ બાદ માતા ગર્ભનાળ ખાઈ જાય છે. ઘણીવાર તો એવું થાય છે કે, બાળકના જન્મના તુરંત બાદ જ માતા પોતાની ગર્ભનાળ ખાઈ જાય છે.
ઘણીવાર તો હોસ્પિટલમાંથી મહિલાઓની ગર્ભનાળ ચોરી પણ થઈ જાય છે. જેને બહાર ઊંચી કિંમતે વેચવામા આવતી હોય છે. ચીનમાં પ્લેસેંટાને દવા તરીકે પણ ઊંચી કિંમતે વેચવામા આવે છે. આ ઉપરાંત ગર્ભનાળને સુકવ્યા બાદ તેને દવાની જેમ પણ ઉપયોગમાં લેવામા આવતી હોય છે. ઘણા લોકો તેનું સૂપ બનાવીને પણ પીતા હોય છે.
એવું કહેવાય છે કે, ગર્ભનાળ ખાવાથી મહિલાઓમાં બાળકને જન્મ આપ્યા બાદના તણાવની અસર થતી નથી. આ સાથે જ મહિલાઓ વધુ યુવા દેખાય છે. આ ઉપરાંત ચીનમાં ગર્ભનાળને પુરુષોની નંપુસક્તાની સારવારની દવા તરીકે પણ ઓળખવામા આવે છે. એવું કહેવાય છે કે, ચીનમાં ગર્ભનાળને 1500 વર્ષથી ખાવામા આવે છે. અત્યાર સુધી કોઈપણ સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ગર્ભનાળ ખાવા સંબંધિત કરવામા આવતા દાવાઓની પુષ્ટિ કરી નથી.
ગર્ભનાળના ફાયદા તો સામે નથી આવ્યા પરંતુ ટેક્સાસ યુનિવર્સિટી હોસ્પિટલના ડૉક્ટર્સે તેના નુકસાન જણાવ્યા છે. ટેક્સાસ યુનિ. ડૉક્ટર્સના મતે ગર્ભનાળમાં વાઈરસ હોઈ શકે છે. પ્લેસેંટા માતાથી બાળક સુધી પોષણ ફિલ્ટર કરીને પહોંચાડે છે. તેથી તેમાં ખતરનાક બેક્ટેરિયા અને વાઈરસ રહેલા હોઈ શકે છે. જેને ખાવાથી બીમારીઓ થવાની શક્યતા રહેલી છે.
પ્લેસેંટા ખાવા વિશે 2016માં સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને એક અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં ચોંકાવનારા તથ્ય સામે આવ્યા હતા. આ અભ્યાસ એક એવી માતા પર કરવામા આવ્યો જેના બાળકના લોહીમાં પહેલાથી ગંભીર સંક્રમણ હતું. અભ્યાસમાં સામે આવ્યું કે, બાળકને ગંભીર સંક્રમણ થવાનું કારણ એ હતું કે- બાળકના જન્મ બાદ માતા રોજ પ્લેસેંટાથી બનેલી કેપ્સૂલ ખાતી હતી. આ દરમિયાન તે બાળકને દૂધ પણ પીવડાવતી હતી અને આ જ કારણે બાળકને ગંભીર સંક્રમણ થયું હતું.