થોડાં દિવસ પહેલા જ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એક જ પરિવારના 9-9 સભ્યોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. શરૂઆતની તપાસમાં એમ લાગતું હતું કે દેવું થઈ જતાં પરિવારે સામૂહિક સુસાઇડ કર્યું છે. જોકે, હવે આ કેસમાં નવો જ ઘટસ્ફોટ થયો છે. આ કેસ હવે સામૂહિક આત્મહત્યાને બદલે સામૂહિક હત્યાકાંડ બની ગયો છે. પોલીસના મતે, ગુપ્ત ધનની લાલચમાં આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે.
સાંગલીના એસપી દીક્ષિતે કહ્યું હતું કે ઘરમાં 9 લોકોના ભોજનમાં કોઈએ બહુ બધું ઝેર નાખીને હત્યાકાંડને અંજામ આપ્યો છે. આ કેસમાં બે લોકો ધીરજ ચંદ્રકાંત તથા અબ્બાસની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી પોલીસે 19 લોકોની ધરપકડ કરી છે.
પોલીસે કહ્યું હતું કે મૃતક ડૉક્ટર માણિક વનમોરે તથા પોપટ વનમોરે ગુપ્ત ધન અંગે કોઈના સંપર્કમાં હતા. મોડી રાત સુધી આ અંગે વાત કરતાં હતાં. પોલીસે કૉલ ડિટેલ્સમાં પણ ચેક કરી છે, જેમાં આ નામ સામે આવ્યા હતા. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોપટ તથા માણિક ભાઈ હતા. પોપટ શિક્ષક તથા માણિક વેટનરી ડૉક્ટર હતો. પોપટની દીકરી બેંકમાં કામ કરતી હતી. 20 જૂનના રોજ પોલીસને એક જ ઘરમાંથી માણિક, તેની પત્ની માતા, દીકરી-દીકરો તથા ભત્રીજાની લાશ મળી હતી. બીજા ઘરમાંથી પોપટ, તેની પત્નીને દીકરીની લાશ મળી હતી. પરિવાર પાસે બે ઘર છે.
જ્યારે દૂધવાળી પરિવારના ઘરે પૂછવા આવી કે તેઓ દૂધ કેમ લેતા નથી, તે સમયે આ હત્યાકાંડનો ખુલાસો થયો હતો.