Only Gujarat

Gujarat

નડિયાદના પટેલ પરિવારમાં છવાયો માતમ, એક સાથે 3-3 લોકોની અર્થીઓ ઉઠી, સૌ કોઈ રડી પડ્યા

સમય ક્યારે કાળ બનીને આવે તે કહેવાય નહી, નડિયાદના પટેલ પરિવારને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે, લગ્નની શરણાઈના દિવસોમાં મરણના મરશિયા ગવાશે‌. રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર પરસાદ ગામ નજીક નડિયાદના પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના 3 લોકોની જીંદગી હોમાઈ ગઈ હતી. આમાં જે યુવાન દિકરાના લગ્ન હતા તેના માતા-પિતા તથા એક કૌટુંબિક મહિલાને કાળ ભરખી ગયો હતો. આથી પરિવારનો‌ માળો વિખરાઈ ગયો હતો. પુત્રના લગ્નની કંકોત્રી કુળદેવી માતાજીને ત્યાં મુકવા ગયા અને પરત આવતા પીકઅપ વાને કારને ટક્કર મારી પડખુ ચીરી દેતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો અને કારમાં બેઠેલા ત્રણ લોકોના જીવ લઈ લીધા. એક બાજુ એકના એક દિકરાને પરણાવવાની ખુશી હતી ત્યાં ગંભીર અકસ્માતે ત્રણના જીવ લેતાં પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

પરિવાર તથા કુટુંબના તમામ લોકો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ પર આવેલ કલેકટરના બંગલાની સામે વસંત વિહાર સોસાયટીમાં રહેતા 58 વર્ષિય હેમેશભાઈ આપાભાઈ પટેલ પોતે નડિયાદ સ્થિત LIC કચેરીમા H.G.A.માં હતા અને સાથે સાથે તેઓ અહીયા આવેલ ઓલ ઈન્ડિયા NOIW યુનિયનના પ્રમુખની પણ જવાબદારી સંભાળતા હતા. તેમનો એકનો એક દિકરો સંકેત જે હાલ કેનેડા રહે છે. અને સંકેતના લગ્નની તારીખો જોવાઈ જતાં જાન્યુઆરીમા લગ્ન પણ ગોઠવાઈ ગયા હતા. પરિવાર તથા કુટુંબના તમામ લોકો લગ્નની તૈયારીઓમા વ્યસ્ત હતા. કપડા, ઘરેણાની ખરીદી સહિત મંડપ ડેકોરેશન અને અનેક નાની મોટી વસ્તુના બુકિંગ પણ કરી દીધા હતા.

પરિવારના કુલ 5 સભ્યો પોતાની કુળદેવી માતાજીના મંદિરે ગયા હતા
આ બાજુ લગ્નની કંકોત્રી પણ લખાઈ ગઈ અને પહેલી કંકોત્રી રીતી રીવાજ મુજબ કુળદેવી માતાજીને ત્યાં મુકવા જવાનો એ હરખનો દિવસ પણ આવી ગયો હતો. આથી ગત 15-16 ઓક્ટોબરના રોજ હેમેશભાઈ પટેલ (ઉ.વ.58) તેમની પત્ની રાજુલાબેન (ઉ.વ.52), ભત્રીજા વહુ હિરલબેન પ્રમિતભાઈ પટેલ (ઉ.વ.40), ભત્રીજો પ્રમિત પટેલ અને અન્ય એક એમ કુલ 5 સભ્યો શની-રવિની રજામાં અહીયાથી ક્રેટા કારમાં બેસી રાજસ્થાન સ્થિત આવેલ પોતાની કુળદેવી ભદ્રકાળી માતાજીને લગ્નની કંકોત્રી માતાજીના ચરણોમાં અર્પણ કરવા ગયા હતા.

અકસ્માતમા હસતી, રમતી 3 જીંદગીઓ હોમાઈ
કોઈને પણ ખબર નહોતી કે આ કંકોત્રી અર્પણ કરી પરત આવતી વેળાએ આ હસતી, રમતી જીંદગી પૈકી 3 વ્યક્તિઓ હોમાઈ જશે. આ પટેલ પરિવારનો સમય કાળ બની રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર પરસાદ ગામ નજીક ત્રાટક્યો હતો અને 16મી ઓક્ટોબર બપોરના દોઢ-બે વાગ્યાની આસપાસ રોગ સાઈડે આવેલા પીકઅપ વાને ઉપરોક્ત હેમેશભાઈની કાર સાથે અથડાવી ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં હેમેશભાઈ પટેલ (ઉ.વ.58) તેમની પત્ની રાજુલાબેન (ઉ.વ.52) અને ભત્રીજા વહુ હિરલબેન પ્રમિતભાઈ પટેલ (ઉ.વ.40) કારમાં ફસાઈ જતાં આ ત્રણેયના સ્થળ પર મોત નિપજયાં છે. જ્યારે પરિવારના પ્રમિત પટેલ અને અન્ય એકને નજીવી ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં એકજ પરિવારની 3 જીંદગી હોમાઈ જતાં પરિવારનો માળો વિખરાઈ ગયો છે.

દીકરો પણ કેનેડામા રહી પોતાના લગ્નની તૈયારીઓ કરતો હતો
પટેલ પરિવારના ઘરમાં લગ્નની કંકોત્રી છપાઈને પડી હતી ત્યાં મરણની કાળોતરી લખવી પડી તેવી પરિસ્થિતિના નિર્માણથી પરિવારમા ભારે ગમગીની અને આક્રંદ છવાયો છે. મહત્વનુ છે કે, આ હેમેશભાઈ પટેલને નોકરીમાથી વય નિવૃતના ગણતરીના એકલ દોકલ વર્ષો જ બાકી રહ્યા હતાં. તો વળી દિકરો સંકેત પણ કેનેડામા રહી પોતાના લગ્નની તૈયારીઓ કરતો હતો. તેવામાં આ હસીખુશીના દિવસો દુખના દિવસોમાં ફરી વળ્યા છે. આ બનાવના કારણે પુત્ર સંકેતને પણ પુરી જીંદગી વસવસો રહેશે.

ભત્રીજા વહુની બુધવારે અને દંપતિની ગુરુવારના રોજ અંતિમયાત્રા નીકળશે
ખાનગી મિડીયાએ તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું છે કે, હાલ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ નડિયાદ લાવી દેવામાં આવ્યા છે અને ભત્રીજા વહુ હિરલ પટેલની આવતીકાલ બુધવાર સવારે 8 કલાકે સંતરામ દેરી રોડ તેમના નિવાસસ્થાનેથી અને હેમેશભાઈ પટેલ તથા તેમના પત્ની રાજુલાબેનની ગુરુવારના રોજ સવારે 8 કલાકે તેમના નિવાસસ્થાન વસંત વિહાર સોસાયટી, પીજ રોડ પરથી અંતિમયાત્રા નીકળશે. આ ઘટનાની જાણ સાત સંમુદર પાર સંકેતને થતાં તે પણ આજે ઈન્ડિયા આવી ગયો છે. આકસ્મિક મોતના પગલે પટેલ પરિવાર સંપૂર્ણ ભાંગી પડ્યો છે અને સૌકોઈ સાંત્વના પાઠવવા તેમના ઘરે આવી રહ્યા છે. કાલ સુધી જે મકાનની દિવાલો હશી, ખુશીથી ગૂંજતી હતી તે દિવાલો આજે સૂમસામ આક્રંદથી છવાઈ ગઈ છે.

You cannot copy content of this page