લગ્નના બે વર્ષ બાદ પરિણીત મહિલાને જીવતા સળગાવવાનો મામલો સામે આવ્યો છે. મૃતકના પિતાનો આરોપ છે કે તેના સાસરિયાઓ ઇચ્છતા હતા કે તેણી માતા બની જાય, તેવું ના થવા પર તેઓએ ટીકાઓ શરૂ કરી હતી. આથી કંટાળીને તેણે પતિના નામર્દ હોવાની જાણ કરી હતી, જેના કારણે સાસરિયાઓએ ગુસ્સામાં મંગળવારે રાત્રે તેને જીવતી સળગાવી દીઘી હતી. તે જ સમયે પોલીસે લાશનો કબજો લઇ આરોપી પતિની ધરપકડ કરી હતી. તેમજ મૃતકના સાસુ અને સસરાની પણ પૂછપરછ કરી રહી છે. આ ઘટના અહિયાપુર પોલીસ સ્ટેશનના નાજિરપુરની છે.
સીતામઢીના રહેવાસી બલરામદાસ અયોધ્યામાં સાધુ છે. તેમની પુત્રી અલ્પનાના લગ્ન 19 ફેબ્રુઆરી 2019ના રોજ મુઝફ્ફરપુરના નાજિરપુરમાં રહેતા પ્રમોદ ઠાકુરના ઇજનેર પુત્ર ગૌરવ ઠાકુર સાથે થયા હતા.
લગ્ન થયા બાદથી જ પરિવારના લોકો તેના પર માતા બનવા માટે દબાણ કરતા હતા. જેના કારણે ઘરમાં અણબનાવની સ્થિતિ હતી. આરોપ છે કે અલ્પનાના સાસુ-સસરા તેને મહેણાં-ટોણાં મારતા હતા. છેવટે પરેશાન થઈને તેણે તેના માતાપિતાને કહ્યું કે તેનો પતિ ગૌરવ પિતા બનવા યોગ્ય નથી.
જ્યારે અલ્પનાના પિતા બલારામ દાસે ગૌરવના પરિવારમાં આ મામલો ઉઠાવ્યો ત્યારે બબાલ થઇ હતી. એવું કહેવામાં આવે છે કે તેણે પુત્રીની સામે જ જમાઈને તબીબી સારવાર લેવાની સલાહ આપી હતી. ત્યારબાદ બધાએ અલ્પનાને ઠપકા આપવાનું શરૂ કરી દીધું હતું.
પિતાનો આરોપ છે કે અલ્પનાને પહેલા બેભાન કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને સળગાવી નાખવામાં આવી હતી. અહિયાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને કબ્જે કરી, આરોપી પતિ ગૌરવની ધરપકડ કરી હતી.
આરોપી ગૌરવ અને તેના માતા-પિતાનું કહેવું છે કે પારિવારિક વિવાદમાં અલ્પનાએ પોતાને જ સળગાવી નાખી હતી. જોકે, પરિવારના કોઈએ તેને આગ લગાડતા કે ચીસો પાડતા જોઈ ન હતી.