કેરળમાં ખૂબ જ દુખદ ઘટના બની છે. રાજ્યના કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન રન-વે પર લપસી ગયું હતું, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેશ થઈને વિમાનના બે ટૂંકડા થઈ ગયા હતા. આ ઘટનામાં બંને પાયલોટ સહિત 20 લોકના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. વિમાનનમાં 190 લોકો સવાર હતા. મૃત્યુઆંક હજી વધે તેવી શક્યતા છે.
DGCAના જણાવ્યા મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસ AXB1344, બોઈંગ 737 વિમાન દુબઈથી કાનીકટ આવી રહ્યું હતું. ભારે વરસાદના કારણે રન-વે પર ઉતર્યા બાદ વિમાન લપસ્યું હતું અને બાજુની ખાડીમાં પડ્યું હતું. ક્રેશ થયા બાદ પ્લેનના બે ટૂંકડા થઈ ગયા હતા. વિમાનમાં 190 લોકો સવાર હતા. જેમાં 184 યાત્રી અને 6 ક્રુ મેમ્બર હતા. પ્રવાસીઓમાં 10 બાળકો પણ સામેલ હતા.
આ ઘટના બાદ ઘણા લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બંને પાટલોટના મોત નિપજ્યા હતા, જ્યારે કેબિન ક્રુ સુરક્ષિત છે. અત્યાર સુધીમાં 20 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
આ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ કેરળના સીએમ પિનરાઈ વિજયને સાથે ફોન પર વાત કરી હતી. જેમાં સીએમએ જણાવ્યું હતું કે કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લા કલેક્ટર અને આઈજી સહિત અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ અભિયાન જારી છે.
બચાવ અને રાહત કાર્ય માટે એનડીઆરએફની એક ટીમને કોઝિકોડ મોકલવામાં આવી છે.
ઘટનામાં અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ છે.
આ વિમાન ‘વંદે માતરમ’ મિશન અંતર્ગત દુબઈથી યાત્રિકોને લઈને પરત આવી રહ્યું હતું.
જાણોકારોના કહેવા પ્રમાણે ક્રેશ લેન્ડિંગ વખતે આગ લાગી ન હોવાથી ઘણા લોકોનો બચાવ થયો છે.
હજી બચાવ ટીમ ઘાયલો અને મૃતદેહોને શોધવાના કામમાં લાગી છે.