Only Gujarat

National

રેડમાં IASના પુત્રનું મોત, માતાએ કહ્યું- પોલીસનું વર્દી ન ઉતારું ત્યાં સુધી દીકરાના લોહીવાળા હાથ નહીં ધોવું

પોલીસે સીનિયર IAS અધિકારીના ઘરે રેડ પાડી એ દરમિયાન એક શોકિંગ ઘટના બની હતી. વિજિલેન્સની ટીમની તપાસ દરમિયાન IAS અધિકારીના 26 વર્ષીય દીકરાનું ગોળી વાગવાથી મોત થયું હતું. એક માત્ર દીકરાના મોત બાદ માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

એક માત્ર દીકરાના મોત બાદ માતાએ તેના પુત્રના મોત માટે પોલીસને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી પોલીસવાળાની વર્દી ન ઉતરાવે ત્યાં સુધી તે દીકરાના લોહી લાગેલા હાથને નહીં ધોવે.

આ ઘટના પંજાબના ચંદીગઢની છે. વિજિલન્સની ટીમે ચાર દિવસ પહેલાં સીનિયર IAS સંજય પોપલીની કરપ્શનના મામલામાં ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમની સામે તપાસ ચાલુ હતી. દરમિયાન તપાસ ટીમ IAS સંજય પોપલીના ઘરે રિક્વરી માટે આવી હતી. જ્યાં ઘરમાં શોધખોળ ચાલુ કરી હતી. જે વખતે સંજય પોપલીના દીકરા કાર્તિક અને તપાસ ટીમ વચ્ચે બોલાચાલી થઈ હતી.

કાર્તિક પોપલીની માતાએ કહ્યું કે જ્યારે હું ઘરમાં ઉપર ગઈ તો વિજિલન્સવાળાએ તેના દીકરા ઉપર બંદૂક તાકી હતી. ત્યાર બાદ તેને નીચે મોકલી લીધી હતી. ત્યાર પછી તેણે ગોળીનો અવાજ સાંભળ્યો હતો. બાદમાં ખબર પડી કે તેના દીકરાને ગોળી લાગી છે. કાર્તિક પોપલીની માતાએ કહ્યું કે તેના પતિને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે.

સંજય પોપલીના પારિવારિક મિત્ર એડવોકેટ મતવિન્દ્રસિંહે કહ્યું કે મોહાલી કોર્ટમાં રજૂ કરવાના બદલે સંજય પોપલીને વિજિલન્સની ટીમ ઘરે લાવી હતી. તેઓ મોહાલમાં હતા અને સંજય પોપલીનો ફોન આવ્યો કે વિજિલન્સની ટીમે તેના દીકરાને ગોળી મારી દીધી છે. કાર્તિકના માથામાં ગોળી વાગી હતી.

બીજી તરફ વિજિલન્સના ડીએસપી અજય કુમારે કહ્યું હતું કે અમે રેડ કરીને પરત આવી ગયા હતા ત્યાર પછી કાર્તિકે પોતાની જાતને ગોળી મારી હતી. અમને તો ઓફિસ પહોંચ્યા પછી આવી કોઈ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે ચંદીગઢ પોલીસ તેની તપાસ કરશે. ત્યાર પછી જ ખબર પડશે કે કાર્તિકે પોતાને ગોળી કેમ મારી?

You cannot copy content of this page