ભાજપના પીઢ અગ્રણી સ્વ. નારસિંહભાઇ પઢીયારના પૌત્ર અને યોગીભાઇ પઢીયારના પુત્ર ડો. મિલાપસિંહ પઢીયાર (ઉ.વ.રર)નું ઉદયપુર પાસે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ દુ:ખદ સમાચારથી જૂનાગઢ શહેર સહિત સમગ્ર સોરઠમાં ઘેરો શોક છવાઇ ગયો છે. આ ઘટનાની જાણ થતા જૂનાગઢ સહિત રાજ્યભરના ભાજપા સહિતના રાજકીય અગ્રણીઓ દિલાસો પાઠવવા પઢિયાર પરિવારના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે.
જૂનાગઢના જનસંઘ વખતના ભાજપના પીઢ અગ્રણી સ્વ. નારસિંહભાઇ પઢીયારના પૌત્ર અને યોગીભાઇ પઢીયારના પુત્ર ડો. મિલાપસિંહ પઢીયારે તાજેતરમાં જ ફીલીપાઇન્સ ખાતે ડોકટરેટની ડીગ્રી પ્રાપ્ત કરી હતી અને એમબીબીએસનો અભ્યાસ પુર્ણ કર્યો હતો. દરમિયાન આજે ઉદયપુર પાસે એક કાર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં જૂનાગઢના ડો. મિલાપસિંહ પઢીયારનું કરૂણ મૃત્યુ થયું હતું.
આ અંગે મિલાપસિંહના પિત્રાઇ ભાઇ અને ભાજપ ઓબીસી સેલના મહામંત્રી જયસિંહ પઢિયારે જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યે ડો. મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢિયાર, મિલીંદ પી. ભાટી, આકાશ બિપીન ગઢવી અને આદિત્ય બિપીન ગઢવી કારમાં કેદારનાથ જવા નિકળ્યા હતા. અને રસ્તામાં શ્રીનાથજીના દર્શન કરવાના હતા.
ડો. મિલાપસિંહના પિતા યોગેન્દ્રસિંહ પઢિયાર હાલ જૂનાગઢ મહાનગર ભાજપમાં ઉપપ્રમુખ છે અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર પદે પણ રહી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલીપાઇન્સની યાત્રાએ ગયા ત્યારે તેમને સ્વ. નારસિંહભાઇ પઢિયારનો પૌત્ર ડો. મિલાપસિંહ ત્યાં હોવાના સમાચાર મળતાં તેમને મળીને ફોટો પણ પડાવ્યો હતો.
એક બાઇને પણ ટક્કર મારી હતી
ઉદયપુર તરફથી આવતી કારના ચાલકે ડો. મિલાપસિંહની કાર ઉપરાંત અંબાજીના દર્શને જતા 20 બાઇકના ગૃપ પૈકીની એક બાઇકને પણ ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર 3 લોકોને ઈજા પહોંચી હતી.