કોરોનાના સંકટમાં વડોદરાના પ્રખ્યાત હરણી ભીડભંજન હનુમાનજીને હવે તેલ ચઢાવવામાં કોરોનાનું સંકટ નહીં નડે. ભક્તો માત્ર એક બટન દબાવીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી હનુમાનજીને તેલ ચઢાવી શકશે. બટન દબાવતાં જ જ્યાંથી તેલ ચઢતું હશે ત્યાં લાઈટ થશે અને સાથે મંત્ર વાગશે. મંદિર પરિવાર દ્વારા ભક્તો એકબીજાના સંપર્કમાં આવ્યા વગર માત્ર બટન દબાવી તેલ ચઢાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
હરણી ભીડભંજન હનુમાનજી મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દર શનિવાર-મંગળવાર અને તહેવારોના દિવસે હજારો ભક્તો હનુમાનજીના દર્શને આવે છે. ભક્તો દાદાને તેલ ચઢાવી નારિયેળ પણ ધરાવે છે. જોકે કોરોના મહામારીમાં લોકો હનુમાનદાદાને સોશિયલ ડિસ્ટન્સ રાખી તેલ ચઢાવી શકે તે માટે ઓટોમેટિક સિસ્ટમ ડેવલપ કરાઈ છે. જેમાં ભક્તો બટન દબાવતાં જ હનુમાનદાદાની મૂર્તિ પર તેલ ચઢશે. ભક્તોને મંદિર પરીસરમાં ગાઈડલાઈનનું પાલન અપીલ કરાય છે.
દર શનિવારે 1 હજારથી વધુ ભક્તો દર્શનાર્થે આવે છે
હરણી ભીડભંડન હનુમાન મંદિરમાં કોવિડ મહામારી પહેલા દર શનિવારે 8 થી 10 હજાર ભક્તો દર્શનાર્થે આવતા હતા. પરંતું કોવિડમાં દર શનિવારે 1 હજારથી વધુ ભક્તો દિવસ દરમિયાન દર્શનાર્થે આવે છે. દરેક ભક્તો હનુમાનજીને તેલ અવશ્ય ચઢાવે છે.
ભક્તો રૂા.5 થી રૂા.50 સધીનું તેલ ચઢાવી શકશે
મંદિર પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ભક્તો મશીન થકી રૂા.5, 10, 20 અને 50નું તેલ ચઢાવી શકશે. મહત્વની વાત એ છે કે, મશીનમાં ભક્તો રૂા.5નું બટન દબાવશે તો ઓમનો મંત્ર બોલાશે અને ભગવાન પર તેલ ચઢશે, આ રીતે રૂા.10નું બટન દબાવતા ઓમ શ્રીનો મંત્ર વાગશે, રૂા.20નું બટન દબાવતા ઓમ શ્રી હનુમંતે નમ: મંત્ર વાગશે અને રૂા.50નું બટન દબાવતા ઓમ શ્રી હનુમંતે નમ: મંત્ર બે વાર બોલાશે અને તેલ ભગવાન પર ચઢશે.