એક શોકિંગ અને આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના એક ધારાસભ્યે દાવો કર્યો છે કે તેના મિત્રએ સપનામાં આવીને તેનું મોત થવાનું હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં ધારાસભ્યે દાવો કર્યો હતો કે સપનું આવ્યું બાદ તે તેના મિત્રને મળવા ગયા હતા, મિત્રને મળ્યાને ગણતરીને કલાકોમાં જ તેણે દેહનો ત્યાગ કર્યો હતો.
આશ્ચર્ય પમાડે તેવો દાવો સુરત જિલ્લાના મહુવા તાલુકાના ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાએ કર્યો છે. આ અંગે મોહનભાઈએ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ પણ લખી છે. ધારાસભ્યને 9મી જાન્યુઆરીએ સપનું આવ્યું હતું અને 10મી જાન્યુઆરીએ તેના મિત્રનું નિધન થયું હતું.
ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાએ પોસ્ટમાં લખ્યું છે, ‘‘આ સત્ય ઘટના મારા ગામમાં બની હતી. ગઇકાલે સાંજે ચાર વાગે 10 મિનિટ માટે ઉંઘ આવતાં મને સપનામાં ગામના ગરીબ વ્યક્તિ રનાભાઇ બાબરભાઇ ઢોડિયા આવ્યા હતા. રનાભાઈએ મને સપનામાં કહ્યું હતું કે હું હવે સ્વામિનારાયણ ભગવાનને ત્યાં જવાનો છું.’’
ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાએએ આગળ લખ્યું છે કે ‘‘મેં જાગીને સ્વચ્છ થઈને તરત રનાભાઇના ઘરે જઇ તેમના ખબરઅંતર લીધા હતા. રનાભાઇએ વાતચીતમાં કહ્યું કે તારી જ રાહ જોતો હતો. હું હવે સ્વામી બાપાને ત્યાં જવાનો છું. દરમિયાન આજ સવારે (બીજા દિવસે સવારે) તેઓનો સ્વગર્વાસ થયો હતો.’’
MLA મોહનભાઈએ કહ્યું હતું કે ‘‘ગરીબ વ્યક્તિનો પવિત્ર આત્મા કેવો લાગણીશીલ હોય છે તેનો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે. દિવંગત આત્માને પ્રભુ ચીર શાંતિ આપે એવી હું મા ભગવતીને પ્રાથઁના કરુ છું અને એમના પરિવાર પર અચાનક આવેલા કઠોર આઘાતને સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી મહુવા મતવિભાગની જનતા વતી પ્રાથઁના…’’
MLA મોહનભાઈએ જણાવ્યું હતું કે આ પહેલો બનાવ મારી સાથે બન્યો કે મને સ્વપ્ન આવ્યું અને તે હકીકત બન્યું. આ વાત બિલકુલ સાચી અને તથ્ય વાળી છે. હાલ આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે.