‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવત ઘણીવાર સાચી પડતી હોય છે. ભગવાનના આશીર્વાદ હોય તો ગમે તેવી મુશ્કેલી કેમ ના આવે વ્યક્તિ સકુશળ તેમાંથી બહાર આવે છે. હાલમાં જ એક ચાર વર્ષીય બાળકને સાપે ડંખ માર્યો હતો. ચાર વર્ષના બાળકનો વાળ પણ વાંકો ના થયો, પરંતુ સાપનું ગણતરીના કલાકોમાં મોત થઈ ગયું હતું. ગામમાં જેણે પણ આ વાત સાંભળી તેની આંખો પહોળી થઈ ગઈ હતી. કોઈને વિશ્વાસ થતો નહોતો કે બાળકને ડંખ માર્યા બાદ સાપનું કેવી રીતે મોત થાય.
બિહારના ગોપાલગંજ જિલ્લાના એક ગામમાં આ ઘટના બની હતી. ચાર વર્ષના બાળકને સાપે ડંખ માર્યો હતો. પરિવાર તાત્કાલિક બાળકને નજીકમાં આવેલી હોસ્પિટલ લઈ ગયો હતો. અહીંયા બાળકની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.
જોકે, બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તેને ગોરખપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. હવે બાળકની સ્થિતિ સામાન્ય છે. તેને રજા આપી દેવામાં આવી છે. હવે તે બાળકો સાથે રમે પણ છે. જ્યાં એક દિવસ પહેલાં સન્નાટો છવાયો હતો, ત્યાં બાળકનો કિલકિલાટ સાંભળવા મળે છે. પરિવારના દરેકના ચહેરા પર હાસ્ય છે.
સાપ કેમ કરી ગયો? આ ઘટનાની જાણ થયા બાદ બાળકની પાસે સ્નેક સેવર જમશેર આવ્યો હતો. તેણે કહ્યું હતું કે સાપે બાળકને ડંખ જરૂર માર્યો હતો, પરંતુ પોતાનું ઝેર ઓક્યું નહોતું. આ જ કારણથી બાળકને ખાસ કંઈ થયું નહોતું.
સાપ એટલા માટે મરી ગયો, કારણ કે તે પહેલેથી જ બીમાર અને નબળો હતો. તેની પર અન્ય જાનવરોએ હુમલો કર્યો હતો અને આ જ કારણે સાપની તબિયત ઘણી જ ખરાબ હતી. સાપમાં એ હદે નબળાઈ આવી ગઈ હતી, ડંખ માર્યા બાદ તે પોતાનું ઝેર પણ છોડી શક્યો નહીં. સાપનું ઝેર માથામાં હોય છે.
આ કેસમાં સાપે માથામાંથી ઝેર બહાર કાઢી શક્યો નહીં. ગેહૂઅન પ્રજાતિનો સાપ ડંખ મારે પછી અનેક લક્ષણો જોવા મળે છે, જેમાં પેટમાં દુખાવો, વોમિટિંગ, ઊંઘ આવવી, સોજો તથા ગળા સુકાય છે.