અનેક ફેમસ ટીવી સીરિયલ અને ફિલ્મોમાં ડાયરેકશન કરનાર ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ આજે શાકભાજીની લારી ચલાવવા મજબુર છે. એકથી એક ફેમસ કલાકારોને તેમના ઇશારે હસાવનાર – રડાવનાર ડાયરેક્ટર આજે તેમની કપરી સ્થિતિ સામે લડી રહ્યાં છે. હાલ આ ડાયરેક્ટર રામવૃક્ષ ઉત્તર પ્રદેશના આજમગઢમાં તેમના ઘરે રહે છે અને શાકભાજી વેચીને ગુજરાન ચલાવવા મજબુર છે.
રીલ લાઇફમાં ઝાકમઝોળ અને ભાગદોડની જિંદગી જીવનાર ડાયરેક્ટરની હાલ એવી સ્થિતિ છે કે, તે તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજીની લારી ચલાવે છે.
જો કે આ પરિસ્થિતિમાં ડાયરેક્ટર રામવૃક્ષે જણાવ્યું કે, રિલ લાઇફ અને રિયલ લાઇફ બંને ચાલે છે. રામવૃક્ષે બાળકની પરીક્ષા અપાવવા માટે આઝમગઢ આવ્યાં હતા જો કે હાલ પરિસ્થિતિથી એટલા મજબૂર છે કે, લોકડાઉન બાદ સીરિયલમાં કામ ન મળતા હાલ તેઓ શાકભાજીની લારી ચલાવીને પરિવારનો ખર્ચ કાઢી રહ્યાં છે.
મીડિયા સાથે વાતચીત કરતા રામવૃક્ષ અને તેના પરિવારે જણાવ્યું કે, આશા રાખીએ છીએ કે, પરિસ્થિતિ સુઘરે અને અમે ફરી અમારી સામાન્ય જિંદગી જીવી શકીએ. ડાયરેક્ટરની પત્ની અનિતા ગૌડે જણાવ્યું કે, પરિસ્થિતિ ખરાબ છે તો કોઇ ગમ નથી પરંતુ આશા છે કે આજ નહીં તો કાલ સ્થિતિ સુધરશે.
તો બીજી તરફ તેમની દીકરી નેહાએ પણ જણાવ્યું કે, જ્યારે સ્થિતિ સુઘરશે તો અમે ફરી મુંબઇ જઇને મિત્રો સાથે સ્કૂલ જઇ શકશું. 25થી વધુ ટીવી સિરીયલ અને ફિલ્મોમાં ડાયરેકશનનું કાર્ય કરી ચૂકેલ રામવૃક્ષે જણાવ્યું કે, લોકડાઉનમાં તેમનું જિંદગીની ફિલોસોફી જ બદલાઇ ગઇ. હાલ તે શાકભાજી વેચવા મજબૂર છે.
તે સીરિયલ બાલિકા વધુ, જ્યોતિ, કુછ તો લોગ કહેંગે, સુજાતા જેવી સુપરહિટ સીરિયલનું નિર્દેશન કરી ચૂક્યાં છે. તેમને ફિલ્મી દુનિયાનો પણ 22 વર્ષનો અનુભવ છે.
હવે આ વાત આઝમગઢના વિસ્તારમાં ફેલાઇ ગઇ છે કે, ફેમસ સીરિયલ ડાયરેક્ટર જે તેમના ઇશારા પર મોટા ગજ્જાના કલાકારોને હસાવતા-રડાવતા હતા અને અભિનયના પાઠ ભણાવીને તેને બુલંદીઓ પર પહોંચાડી દેતા હતા. તે આજે રિયલ લાઇફમાં રોડ પર ફરીને શાકભાજી વેચવા મજબૂર બન્યાં છે.