વડોદરા: ગુજરાતમાં એક કૌતુક અને આસ્થાભરી ઘટના સામે આવી છે. સોખડા હરિધામ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહ પાસે થાળ ધરતી વખતે આ ઘટના બની હતી. વાત એમ છે કે ભક્તો જ્યારે હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહ આગળ થાળ ધરતા હતા ત્યારે વાટકામાં રાખેલી ચમચી આપોઆપ સરકી ગઈ હતી. આ અંગેનો એક વીડિયો પણ ખૂબ વાઈરલ થયો છે.
બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહનાં અંતિમ દર્શન માટે હરિભક્તો વડોદરા નજીક સોખડામાં હજારોની સંખ્યામાં ઊમટી પડ્યા છે.સોખડાના રોડ પર વાહનોની 5 કિ.મી. લાંબી લાઇન જોવા મળી હતી. દરમિયાન સોખડામાં એક કૂતુહુલ સર્જતી અને આસ્થાભરી ઘટના સામે આવી હતી.
વાઈરલ થયેલા વીડિયોમાં બે સંતો જ્યારે હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહ પાસે થાળ ચડાવવા જાય છે ત્યારે થાળીમાં રહેલી વાટકાની અંદર ચમચી આપોઆપ સરકે છે. આ ઘટનાથી ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. સ્વામીજી સાક્ષાત હાજરાહજુર હોવાની ભક્તોની લાગણી છે.
સોખડાના અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પીએમ મોદીએ પત્રમાં લખ્યું હતું કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના નિધનના સમાચાર જાણીને અત્યંત દુઃખ થયું.
સોખડા-હરિધામ મંદિરના સંત બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના અંતિમ દર્શન ભક્તો માટે મંદિર પ્રાંગણમાં જ ખુલ્લા મૂકાયા હતાં. હજારોની સંખ્યામાં ભક્તો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. અંતિમ દર્શન માટે ભક્તો ત્રણ કિલોમીટર સુધી લાઈનો લાગતી હતી. વહેતી સવારથી ભક્તો સોખડા ખાતે પહોંચી જાય છે.