મુંબઈઃ જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ એવા આશાલતા વાબગાંવકરનું નિધન થયું. તેમણે મુંબઈના સતારા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનીય છે કે, આશાલતાની ઉંમર 83 વર્ષ હતી અને તેમને કોરોના થયો હતો. જેના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં હતા પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
શૂટિંગ દરમિયાન લાગ્યો હતો કોરોનાનો ચેપ
83 વર્ષની વયે પણ આશાલતાએ કામ કરવાનું છોડ્યું નહોતું. તેઓ તાજેતરમાં જ મરાઠી સિરિયલ ‘આઈ કલુબાઈ’ના શૂટિંગ માટે પહોંચ્યા હતા, જ્યાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમની સ્થિતિ વધુ લથડી અને તેમણે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
હિન્દી અને મરાઠી સિનેમામાં જાણીતું નામ
2 જુલાઈ 1941માં ગોવામા જન્મેલા આશાલતા વાબગાંવકરે હિન્દીની સાથે મરાઠી ફિલ્મ્સમાં પણ કામ કર્યું હતું. તેમણે મરાઠી ફિલ્મ્સમાં પણ શાનદાર ગીતો ગાયા હતા.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડમાં તેમણે ‘જંજીર’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં આશાલતા વાબગાંવકરે અમિતાભ બચ્ચનની માતાનો રોલ કર્યો હતો. આશાલતાને બાસુ ચેટર્જીની ફિલ્મ ‘અપને પરાયે’ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
આ ઉપરાંત તેમણે ‘અંકુશ’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘શૌકિન’, ‘વો સાત દિન’, ‘નમક હલાલ’ અને ‘યાદોં કી કસમ’ સહિત 100થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. કોરોનાગ્રસ્ત થયા તે સમયે તેઓ એક મરાઠી સિરિયલનું શૂટિંગ કરી રહ્યાં હતા.