ગુરુવારે વહેલી સવારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા, ડિરેક્ટર અને પટકથા લેખક સતીષ કૌશિકનું 67 વર્ષની વયે અચાનક અવસાન થયું છે. તેમનું અવસાન હાર્ટ અટેકને કારણે થયું હોવાના પ્રારંભિક અહેવાલ આવી રહ્યા છે. આ દુઃખદ સમાચાર સાંભળીને સમગ્ર બોલિવૂડ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સતીશ કૌશિકના મિત્ર અને બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે આ માહિતી સોશિયલ મીડિયા થકી શેર કરી છે. ફિલ્મોમાં કામ કરવું કોઈના માટે એટલું સરળ નથી. ખાસ કરીને જ્યારે તમે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા. અભિનેતા સતીશ કૌશિક માટે પણ આ સરળ ન હતું.
તેમણે ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંધર્ષ કરવો પડ્યો હતો. તેમણે ફિલ્મક્ષેત્ર પહેલા કેશિયર તરીકે પણ કામ કર્યું. પરંતુ તેમણે પોતાના સપનાને સાકાર કરવા માટેનો પ્રયાસ ક્યારેય બંધ કર્યો નહીં.
1979ની વાત છે. સતીશ કૌશિક ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. પરંતુ તે એટલું સરળ નહોતું. મુંબઈ જેવા શહેરમાં ટકી રહેવા માટે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મો તરત જ મળી જવાની નહોતી. સ્ટેશન પર રાત પસાર ના કરવી પડે તે માટે, અભિનેતાને કેશિયર તરીકે નોકરી મળી હતી. તેમને મહિને 400 રૂપિયા મળતા હતા.
જ્યાં તેઓ સવારે નોકરીએ જતા હતા. જ્યારે કામ પરથી પરત આવ્યા બાદ તેઓ સીધા જ પૃથ્વી થિયેટરમાં પહોંચીને પોતાના સપનાને સાકાર કરવા પહોંચી જતાં હતાં. અહીંથી જ તેની નજર પડવા લાગી અને તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કમાં આવવા લાગ્યાં હતાં.
સતિશ કૌશિકે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ નિર્દેશક તરીકે કરી હતી. સતીષે રૂપ કી રાની ચોરો કા રાજા ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી. પરંતુ તેમની આ ફિલ્મ નિષ્ફળ સાબિત થઈ હતી પણ સતીશ કૌશિક પ્રતિભાની ખાણ હતા. તેઓ અભિનય તરફ વળ્યા અને ઘણા ભિન્ન ભિન્ન પાત્રોથી દર્શકોનું મનોરંજન કર્યું.